ગુજરાત આવેલા વાઘનો વંશવેલો વધારવા માટે MPથી બે વાઘણ દાહોદના જંગલમાં છોડાશે | Gujarat Launches Tiger Expansion Plan Two Tigresses to Arrive in Dahod Forests

![]()
Two Tigresses to Arrive in Dahod Forests: ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. દાહોદના જંગલોમાં મધ્ય પ્રદેશ (MP)થી આવેલા વાઘે વસવાટ કર્યો છે, ત્યારે આ વિસ્તારમાં વાઘ કાયમી વસવાટ કરે અને તેનો વંશવેલો આગળ વધે તે માટે રાજ્ય સરકાર અને નેશનલ ટાઈગર કન્વર્ઝન ઓથોરિટી (NTCA) દ્વારા એક વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મધ્ય પ્રદેશથી બે વાઘણ દાહોદ લાવવામાં આવશે, જેના માટે વન વિભાગ દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરી લેવાયો છે.
દહેરાદૂનની ટીમ દ્વારા વન કર્મચારીઓને ખાસ તાલીમ
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે એપ્રિલ મહિનાના અંતમાં NTCA અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ટાઈગર સેલ (દહેરાદૂન)ની ટીમોએ દાહોદની મુલાકાત લીધી હતી. આ ટીમો દ્વારા સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને ત્રણ દિવસ સુધી વાઘના સંરક્ષણ, દેખરેખ અને સુરક્ષા સહિતની તમામ ગંભીર બાબતો પર વિશેષ તાલીમ આપવામાં આવી હતી. વનકર્મીઓને વાઘના પંજાના નિશાન પરથી નર (મેલ) અને માદા (ફિમેલ) વાઘની ઓળખ કેવી રીતે કરવી તેની પણ પ્રેક્ટિકલ જાણકારી આપવામાં આવી હતી.
મોનિટરિંગ માટે 14 નાઈટ વિઝન કેમેરા ગોઠવાયા
દાહોદ પાસે આવેલા સાગટાળા જંગલમાં હાલમાં વાઘની ગતિવિધિઓ અને હલનચલન પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. વાઘના ચોક્કસ લોકેશન અને મોનિટરિંગ માટે જંગલ વિસ્તારમાં 14 જેટલા અત્યાધુનિક નાઈટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, હાલમાં વાઘ દાહોદની કજેટા અને સાગટાળા રેન્જમાં સ્થાયી થયેલો જોવા મળ્યો છે. ટૂંક સમયમાં જ આ જંગલ વિસ્તારમાં મધ્ય પ્રદેશથી બે વાઘણ લાવીને મુક્ત કરવામાં આવશે, જેથી આ વિસ્તારમાં વાઘના પરિવારની સાથોસાથ તેની પ્રજાતિમાં નોંધપાત્ર વધારો થઈ શકે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગુજરાતના વન્યજીવ ઇકોસિસ્ટમ અને ટુરિઝમ માટે એક નવો સીમાચિહ્ન સાબિત થઈ શકે છે.



