ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crores per year caught in Chotila Thangadh Muli panthak

![]()
ખનીજમાફિયાઓના કાળા સામ્રાજ્ય પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઇક
જામવાડી, ખાખરાથળ, ભાડુલા, ભેટ સહિતના વિસ્તારોમાં ૨,૨૦૦ જેટલી કાર્બોસેલની ખાણો બંધ કરાવીને ૧,૧૦૦ જેટલા જોખમી કૂવા બુર્યા
ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને ચોટીલા પંથકમાં વર્ષોથી બેફામ ચાલી રહેલા ખનીજચોરીનાં ગોરખધંધા પર વહીવટી તંત્રે એક વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં ખનીજ માફિયાઓના કાળા સામ્રાજ્ય પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઇકમાં રૂા.૧,૦૦૦ કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ છે અને તેનો ખાસ રિપોર્ટ પણ હાલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
ચોટીલા સબ ડિવિઝનનાં નાયબ કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન ખનીજ માફિયાઓનું નેટવર્ક ધ્વસ્ત કરી દેતો એક સત્તાવાર અહેવાલ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ચોટીલા, થાન અને મૂળી તાલુકામાં વ્યાપક તપાસ હાથ ધરીને અંદાજિત રૂા. ૧,૦૦૦ કરોડથી વધુની ખનીજચોરી ઝડપી પાડવામાં આવી છે. આ સાથે ખનીજચોરીના મુખ્ય ગઢ ગણાતા જામવાડી, ખાખરાથળ, ભાડુલા અને ભેટ સહિતના વિસ્તારોમાં ૨,૨૦૦ જેટલી કાર્બોસેલની ગેરકાયદેસર ખાણો બંધ કરાવીને ૧,૧૦૦ જેટલા જોખમી કૂવાઓને માટી નાખીને પૂરી દેવાયા છે. અહીં કામ ગેરકાયદે ખાણોમાં જીવના જોખમે મજૂરી કરી રહેલા ૨૦,૦૦૦થી વધુ શ્રમિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને તેમના મૂળ વતનમાં પરત મોકલી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, ખનીજ માફિયાઓએ કાળી કમાણીમાંથી સરકારી જમીનો પર બનાવેલી ૫૦૦થી વધુ ગેરકાયદેસર હોટલો, દુકાનો અને ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરાયા છે.
તેમણે જણાવ્યું છે કે હાલમાં થાનગઢ અને મૂળી પંથકમાં ખનીજચોરી બંધ છે, આ કાળો કારોબાર ભવિષ્યમાં ફરી ક્યારેય શરૂ ન થાય તે માટે મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની ખાસ ટીમો તહેનાત કરાઈ છે. જિલ્લાના સૌથી સંવેદનશીલ એવા ૪૨ સ્થળો (હોટસ્પોટ્સ) પર ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ખનીજચોરી થતી એ વિસ્તારો પર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે.
* જીવના જોખમે મજૂરી કરતા ૨૦,૦૦૦થી વધુ શ્રમિકોને રેસ્ક્યૂ કરીને વતન પરત મોકલાયા..
* ખાણમાફિયાની ૫૦૦થી વધુ હોટલો, દુકાનો અને ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવાયું..
* મોટા પ્રમાણમાં ખનીજચોરી થતી એવા દરેક વિસ્તારો પર ડ્રોન કેમેરાથી બાજ નજર..
* સંવેદનશીલ ૪૨ સ્થળોએ ૨૪ કલાક પેટ્રોલિંગ..
– 200થી વધુ માફિયાઓને તડીપાર કરવાની તૈયારી
સરકારી જમીન હડપ કરનારા માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. વળી, જે ખેડૂતોએ પોતાની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવા દીધું હતું, તેમની જમીનો શ્રીસરકાર (સરકાર હસ્તક) કરવાની કાયદાકીય તજવીજ હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં આ કાળા કારોબાર સાથે સંકળાયેલા નામચીન મોટા ગજાના ૨૦૦થી વધુ ખનીજ માફિયાઓને તડીપાર (જિલ્લા નિકાલ) કરવાની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે.



