વીજ લાઈનોનું મેન્ટેનન્સ નથી થતું, ચોમાસામાં લોકો હેરાન થશે, વીજ કર્મચારીઓના જ સંગઠનની ચેતવણી | people will be inconvenienced during the monsoon warns the electricity workers’ union

![]()
Vadodara : મધ્ય ગુજરાત વીજ કંપનીના ઉચ્ચાધિકારીઓના કારણે ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ વધશે અને લોકોને હેરાન થવાનો વારો આવશે.
આવી ચેતવણી ખુદ વીજ કંપનીના કર્મચારીઓના સંગઠન ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ આપી છે. આજે સંકલન સમિતિએ આપેલા એલાનના પગલે વીજ કંપનીના સત્તાધીશોની નીતિ સામે રેસકોર્સ હેડક્વાર્ટર સહિત મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓમાં 4500થી વધારે કર્મચારીઓ અને 700થી વધારે એન્જિનિયરોએ કાળી પટ્ટી પહેરી દેખાવો કર્યા હતા તથા સૂત્રચ્ચાર કર્યા હતા.
સંગઠનનું કહેવું છે કે, એમજીવીસીએલના ઉચ્ચાધિકારીઓ લાઈન સ્ટાફને વીજ લાઈનોના મેન્ટેનન્સની જગ્યાએ સ્માર્ટ મીટર નાંખવાની કામગીરી કરાવી રહ્યા છે. જે કામગીરી ખાનગી એજન્સીએ કરવાની હોય છે. ઉપરાંત સોલર રજિસ્ટ્રેશન તથા સ્માર્ટ મીટરના બિલનું વિતરણ પણ ટેકનિકલ સ્ટાફ પાસે કરાવાઈ રહ્યું છે. એમ પણ વીજ કંપની પાસે પૂરતો ટેકનિકલ સ્ટાફ નથી ત્યારે ચોમાસા પહેલા વીજ લાઈનોના મેન્ટેનન્સની કામગીરી પૂરી થઈ નથી.
આમ ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની અને લોકો મુશ્કેલીમાં મૂકાય તેવી શક્યતાઓ વધી ગઈ છે. ઉપરાંત લાઈન સ્ટાફ પર કામનું ભારણ વધી ગયું હોવાથી વીજ લાઈનો પર અકસ્માતની શક્યતા વધી ગઈ છે. આ બાબતે ઉચ્ચાધિકારીઓને જાણ કરાઈ હોવા છતા માત્ર કાગળ પર જ વીજ લાઈનોનું મેન્ટેનન્સ થતું હોવાનું દર્શાવાઈ રહ્યું છે.



