હોસ્પિટલના કર્મીઓ માટે માનસિક તણાવ નિવારણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી | Mental stress relief system created for hospital staff

![]()
સર ટી.ના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટના વિવાદ બાદ નિર્ણય
નનામી અરજીમાં આત્મવિલોપનની ચિમકી બાદ વર્કપ્લેસ સ્ટ્રેસ નિવારણ માટે
ગાઈડલાઈન જાહેર કરવામાં આવી
ભાવનગર – સર ટી.હૉસ્પિટલના
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સામે નનામી અરજીમાં સ્ટાફ નર્સ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યાંના
બનાવ બાદ નનામી અરજી કરનારા કર્મચારી સુધી પહોંચવા હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રયાસો કર્યાં
પરંતુ કોઈ સફળતા નહી મળતા અંતે હવે હૉસ્પિટલના કર્મચારીઓ માટે કામના સ્થળ પર તણાવના
નિવારણ માટેની વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના માટે ગાઈડલાઈન
જાહેર થઈ છે.
સર ટી.હૉસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સામે થોડાં દિવસો પૂર્વે એક નનામી
અરજી થઈ હતી. જેમાં હૉસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સામે કર્મચારીઓ સાથે ભેદભાવ
પૂર્ણ વ્યવહાર અને સ્ટાફની અછત ઉભી કરવાના અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાના
સનસનીખેજ આરોપ કરવામાં આવ્યા હતા. જે બાદ આ મામલે તબીબી અધિક્ષક દ્વારા પાંચ સભ્યોની
એક કમિટિ રચી હતી. જે કમિટિએ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સહિત અરજીમાં જે નર્સિંગ સ્ટાફનો
ઉલ્લેખ હતો તેમના તમામના નિવેદનો લીધાં હતાં. પરંતુ નનામી અરજી કરનાર કર્મચારીની ઓળખ
નહી થઈ શકતા હૉસ્પિટલ તંત્ર દ્વારા કર્મચારીઓને થતાં કાર્યસ્થળ પર તણાવ નિવારણ માટેની
વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તે માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં
આવી છે. જેમાં અધિકારી કર્મચારી માનસિક ત્રાસ કે તણાવનો અનુભવ કરતા હોય તો ઉચ્ચ અધિકારીઓને
રૃબરૃ રજૂઆત,
ફરિયાદ પેટીમાં ફરિયાદ કરવા જણાવાયું છે અને પીડિત કર્મચારીની વિગત સામે
આવે તો તેને ત્વરિત સાયકોલોજી સપોર્ટ આપવા વિભાગિય વડાને સુચના આપવામાં આવી છે.



