गुजरात

સોમનાથના દરિયામાં 3 યુવાનો તણાયા, 2નો બચાવ, એક લાપત્તા | 3 youths stranded in Somnath sea 2 rescued one missing



જોખમને લીધે પ્રતિબંધ હોવા છતાં ન્હાવા ગયા ને મોજું તાણી ગયું : મહારાષ્ટ્રના સોલાપુરનો પરિવાર દર્શનાર્થે આવ્યો ને દુર્ઘટના નડતાં શોકઃ દરિયામાં લાપત્તા બનેલા યુવાનની શોધખોળ હાથ ધરાઇ

વેરાવળ, પ્રભાસપાટણ, : સોમનાથના દરિયામાં મહારાષ્ટ્રના સોલાપુરના ૩ યુવાનો ન્હાવા જતા દરિયામાં તણાઇ ગયા હતા. જોકે તેમાંથી બે યુવાનોને ત્યાં હાજર સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા, જ્યારે ત્રીજો યુવાન લાપત્તા બન્યો હતો. આ બનાવથી ગમગીની વ્યાપી છે.

મહારાષ્ટ્રના સોલાપુરનો 13 સભ્યોનો પરિવાર જૂનાગઢ થઇ સોમનાથ ખાતે દર્શનાર્થે આવ્યો હતો. દર્શન બાદ પરિવારના યુવાનો સોમનાથના દરિયામાં ન્હાવા પડયા હતા. દરમિયાન દરિયામાં આવેલા વિકરાળ મોજામાં ત્રણ યુવાનો તણાઇ ગયા હતા. બનાવથી દરિયાકાંઠે રહેલા યાત્રિકોમાં બૂમાબૂમ થઇ પડી હતી.

બનાવના પગલે દરિયાકાંઠે રહેલા ફોટોગ્રાફર, સ્થાનિક ઘોડેસવારો તથા ઉંટ ગાડી ચલાવતા યુવાનોએ દરિયામાં જઇ બે યુવાનો રોહિત મધુકર સરગમ (ઉ.વ. 22) તથા સુમિત સુરજ તોડકરી (ઉ.વ. 25)ને બચાવી દરિયામાંથી બહાર કાઢ્યા હતા, જ્યારે ત્રીજો યુવાન વિઠ્ઠલ કલ્પા ભાલગાવકર (ઉ.વ. 22) દરિયામાં લાપત્તા બન્યો હતો. બનાવ અંગે સોમનાથ પોલીસને જાણ કરાતા પોલીસે બોટ મારફતે ફાયર બ્રિગેડની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપત્તા યુવાનને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે સોમનાથના દરિયામાં ન્હાવા ઉપર પ્રતિબંધ છે. આ અંગે જાહેરનામું પણ બહાર પડાયું છે અને તે અંગે બોર્ડ પણ લગાવાયા છે છતાં દરિયામાં લોકો ન્હાવા પડે છે અને દુર્ઘટના બને છે.



Source link

Related Articles

Back to top button