કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists Die in Kashmir Car Crash Near Pahalgam Two Injured

![]()
Ahmedabad Tourists Die in Kashmir: ઉનાળાના વેકેશનમાં કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના પરિવારો પર વજ્રઘાત થયો છે. અનંતનાગ જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ નજીક પ્રવાસીઓની એક ટવેરા કાર અચાનક રોડ પરથી સરકીને અંદાજે 15 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં અમદાવાદના બે પ્રવાસીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બે દંપતીઓ ખંડિત થયા છે.
સાઈટસીન માટે જતા નડ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર, અમદાવાદના નવા વાડજ, ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારના દંપતીઓ સહિતના પ્રવાસીઓની એક ટીમ કાશ્મીર પ્રવાસે ગઈ હતી. આગામી 20મી મેના રોજ તેમનો પ્રવાસ પૂર્ણ થવાનો હતો, તે પહેલાં જ શનિવારે સાંજના સમયે કાળે ત્રાટક્યું હતું. પરિવારના સભ્યો ચાર ટવેરા કાર બંધાવીને પહેલગામ ખાતે સાઈટસીન (સ્થળ દર્શન) માટે નીકળ્યા હતા. આ દરમિયાન પહેલગામ-અરૂ રૂટ પરથી પસાર થતી વખતે ચાર પૈકીની એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પંદરેક ફૂટ ઊંડી ખાઈમાં જઈ પડી હતી.
અકસ્માતમાં ભોગ બનનાર અમદાવાદીઓની વિગત
આ ગંભીર અકસ્માતમાં ટવેરા કારમાં સવાર બે અલગ-અલગ પરિવારના સભ્યો ભોગ બન્યા છે. ઘાટલોડિયાના કે.કે. નગર રોડ પર આવેલા વાસુકાનન ટાવરમાં રહેતા ભાવિનભાઈ ભાવસારનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની અવનીબહેનને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સદનસીબે તેમની સાથે રહેલા 12 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે.
ભીમજીપુરાના વિરનગરમાં રહેતા નયનાબહેન ભાવસારનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. જ્યારે તેમના પતિ અશોકભાઈ ભાવસાર ગંભીર રીતે ઘાયલ થતાં શ્રીનગરની હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અકસ્માતમાં ટવેરા કારના સ્થાનિક ચાલકને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
પાર્થિવ દેહને અમદાવાદ લાવવા તંત્ર સક્રિય
અકસ્માતની જાણ થતાં જ અમદાવાદમાં રહેતા સ્નેહીજનો અને સગા-સંબંધીઓમાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કાશ્મીરના સ્થાનિક વહીવટી તંત્રની મદદથી મૃતકોના પાર્થિવ દેહને અને ઇજાગ્રસ્તોને પરત અમદાવાદ લાવવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



