गुजरात

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad to Bangalore flight jewellery parcel missing 5 people arrested



Ahmedabad news: અમદાવાદથી બેંગ્લોર જઈ રહેલી ફ્લાઈટમાં અઢી કરોડના દાગીનાનું એક પાર્સલ ગુમ થયું હતું. આ ચોરી કેસમાં પોલીસે અકાશા એર કંપનીના મેનેજર સહિત 5 લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રૂ. 58 લાખ કબજે કર્યા હતા. પોલીસે તપાસ કરતા જેની પાસે દાગીના વેચ્યા હતા તે રતનપોળનો સોની મહારાષ્ટ્ર ભાગી ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે અમદાવાદથી ફ્લાઇટમાં આરોપી ગયો હતો અને બેંગ્લોરથી પાર્સલની ચોરી કરીને પરત આવી ગયો હતો.

સિક્વલ લોજિસ્ટિક કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે કાર્યરત બલવીરસિંગે 2.58 કરોડની કિંમતનું 2,107 ગ્રામ, 562 મિલિગ્રામ સોનાનું પાર્સલ ગુમ થવા અંગે અકાશા એર કંપની સામે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટાઈટન કંપનીના સોના- ચાંદીના પાર્સલ દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલવાનો કોન્ટ્રાક્ટ કંપની પાસે છે. તા. 17-04-2026ના રોજ સાંજે ટાઈટન કંપનીએ આપેલા ઓર્ડર મુજબ કુલ 7 પાર્સલ અમદાવાદ એરપોર્ટથી અકાશા એર કંપનીમાં રવાના કરવામાં આવ્યા હતા. 

7 પાર્સલ પૈકીનું કુલ 13 કિલો વજન ધરાવતું એક પાર્સલ તા. 18ના સવારે બેંગ્લોર ખાતે પહોંચ્યું ન હતું. કુલ 13 કિલો વજનના આ પાર્સલમાં આર.બી.ઝેડ. જ્વેલર્સ લિ. નામની જ્વેલરી કંપનીએ કુલ 2.107 કિલોગ્રામ અને 562 મિલિગ્રામ સોનાના દાગીનાનું પાર્સલ મોકલ્યું હતું. કુલ 2.58 કરોડની કિંમતના દાગીના સાથેનું પાર્સલ બેંગ્લોર ખાતે મળ્યું ન હતું તેવી જાણ થઈ હતી.

આ અંગે સિક્વલ લોજિસ્ટિક કંપનીએ અકાશા એર, અમદાવાદ અને બેંગ્લોર એરપોર્ટ ખાતે તપાસ કરી હતી. પરંતુ, અકાશા એર દ્વારા 6 પાર્સલ જ બેંગ્લોર ખાતે મળ્યા હોવાની જાણ કરવામાં આવી હતી. ગુમ થયેલા પાર્સલ અંગે અકાશા એર દ્વારા કોઈ વિગતો આપવામાં ન આવતાં આખરે 2.58 કરોડના સોનાના દાગીના સાથેના પાર્સલની ચોરીની એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

એરપોર્ટ પી.આઈ.એ જણાવ્યા મુજબ, એર કંપનીના જૂનાગઢના વતની જેત તથા સુલતાન, રોશન તેમજ જેદ સહિત 5 લોકોની ધરપકડ કરીને તેમની પાસેથી રૂ. 58 લાખના દાગીના કબજે કર્યા હતા. તેઓએ બીજા દાગીના રતનપોળના સોનીને વેચ્યા હતા, તે સોની મહારાષ્ટ્ર ભાગી ગયો હતો.



Source link

Related Articles

Back to top button