બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank of baroda kalupur branch currency chest scam

![]()
Ahmedabad News: અમદાવાદના કાલુપુર ગાંધીરોડ પર આવેલી બેંક ઓફ બરોડા (BOB) બ્રાંચમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયાની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં જ જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ હિસાબમાં ખોટી એન્ટ્રીઓ કરીને આ આખી રકમ ઘરભેગી કરી છે. કાલુપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર કર્મચારીની શોધખોળ હાથ ધરી છે.
ભંગારના બહાને કરોડોની રોકડ બહાર કાઢી
કાલુપુર ગાંધીરોડ બ્રાંચના ચીફ મેનેજર હરીહર દેવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આ બેંકમાં આરબીઆઈ દ્વારા કરન્સી ચેસ્ટ (મોટી તિજોરી) રાખવામાં આવી છે, જ્યાંથી અન્ય બેંકોને જરૂરિયાત મુજબ નાણાં મોકલાય છે. આ કરોડોની રોકડના હિસાબ માટે મુખ્ય કસ્ટોડિયન તરીકે સંજય શર્મા અને જોઈન્ટ કસ્ટોડિયન તરીકે હરસિદ્ધ કડિયાર (રહે. ચાંદખેડા, અમદાવાદ) કાર્યરત હતા.
બેંક ઓડિટ સમયે ભાંડો ફુટ્યો
જ્યારે બેંકમાં ઓડિટ કરવાનો સમય આવ્યો અને નવા કસ્ટોડિયનોએ તપાસ કરી, ત્યારે રૂપિયા 500 ના દરની કુલ 174 રીલ (બંડલો) ઓછી જોવા મળી હતી, જેની કુલ કિંમત 8.70 કરોડ રૂપિયા થતી હતી. બેંક સત્તાવાળાઓએ તાત્કાલિક સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા માલૂમ પડ્યું કે, ગત 13 જાન્યુઆરીના રોજ આરોપી હરસિદ્ધ કડિયાર બેંકમાંથી કેટલાક બોક્સ લઈને બહાર જઈ રહ્યો હતો. તે સમયે તેણે અન્ય સ્ટાફને એવું બહાનું આપ્યું હતું કે, આ બોક્સમાં ભંગાર ભરેલો છે અને તે ભંગાર બહાર ફેંકવા જઈ રહ્યો છે.
પકડાઈ ન જાય તે માટે પ્લાનિંગપૂર્વક લાંબી રજાઓ લીધી
કાલુપુર પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અત્યંત શાતિર છે. બેંકના સીસીટીવી કેમેરાનું સ્ટોરેજ સામાન્ય રીતે 90 દિવસ (3 મહિના) સુધીનું જ રહેતું હોય છે. આ વાતની હરસિદ્ધને ખબર હોવાથી, તેણે જાન્યુઆરી મહિનામાં ચોરી કર્યા બાદ બરાબર ત્રણ મહિના સુધી નોકરી ચાલુ રાખી જેથી સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ જાય.
ખરાબ તબિયતનું બહાનું
ત્યારબાદ ગત 13 એપ્રિલના રોજ તેણે ચીફ મેનેજરને તબિયત ખરાબ હોવાનો મેસેજ કરીને એક દિવસની રજા લીધી. તે પછી વધુ 5 દિવસની મેડિકલ લીવ લીધી અને ત્યારબાદ 20 એપ્રિલથી 5 મે સુધી વધુ 17 દિવસની રજા માંગી હતી. જો કે, મુખ્ય કસ્ટોડિયન સંજય શર્મા નિવૃત્ત થવાના હોવાથી બેંકે તેની આ લાંબી રજાઓ નારાજ મંજૂર કરીને તેને તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો હતો.
ઘરને તાળાં મારી પરિવાર સાથે ગાયબ
બેંકના આદેશ છતાં હરસિદ્ધ હાજર ન થતાં અને ઓડિટમાં કરોડોની ઉચાપત ખૂલતાં બેંકની ટીમ તેના ચાંદખેડા સ્થિત ઘરે તપાસ કરવા પહોંચી હતી. ત્યાં જઈને ખબર પડી કે હરસિદ્ધ છેલ્લા એક મહિનાથી પોતાના આખા પરિવાર સાથે ઘરને તાળાં મારીને ક્યાંક નાસી ગયો છે. હાલ કાલુપુર પોલીસે બેંક ઓફ બરોડાના મેનેજરની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે અને ટેકનિકલ એનાલિસિસ તેમજ અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપી કસ્ટોડિયનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

