અમદાવાદ ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ધડાકો: 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ્યું સામે | Ahmedabad Chandkheda Khira Kand Mistis PM Report Reveals Fatal Bacterial Infection

![]()
Ahmedabad Khira Kand : શહેરના ચાંદખેડા વિસ્તારમાં તાજેતરમાં બનેલા અને ભારે ચર્ચાસ્પદ બનેલા ‘ખીરા કાંડ’ મામલે પોલીસ તપાસમાં એક અત્યંત મહત્વનો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં ભોગ બનેલી 3 વર્ષની માસૂમ બાળકી મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે સત્તાવાર વિગતો જાહેર કરી છે, જેમાં બાળકીના મોત પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.
પીએમ નોટમાં ઘાતક બેક્ટેરિયાનો ખુલાસો
ચાંદખેડા પોલીસ સ્ટેશનના અકસ્માત મોત હેઠળ ચાલી રહેલી તપાસ અંતર્ગત મૃતક બાળકી મિસ્ટીની પીએમ નોટ પોલીસને પ્રાપ્ત થઈ છે. આ સત્તાવાર રિપોર્ટ અનુસાર, બાળકીના શરીરની અંદર ‘એસીનેટોબેક્ટર બૌમાની’ (Acinetobacter baumannii) નામનો અત્યંત ઘાતક બેક્ટેરિયા મળી આવ્યો હતો.
આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર પ્રકારનું સેપ્ટિસેમિયા (લોહીમાં ઈન્ફેક્શન) ફેલાઈ ગયું હતું, જેને પગલે ફેફસામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. અંતે આ આખા ઈન્ફેક્શનના કારણે ‘કાર્ડિયોરેસ્પિરેટરી ફેલ્યોર’ એટલે કે હૃદય અને શ્વાસ બંધ થઈ જવાની સમસ્યા થતાં બાળકીનું મોત નીપજ્યું હોવાનું પીએમ નોટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે.
પોલીસની આગળની તપાસ તેજ
ખીરા કાંડના આ લેટેસ્ટ પોલીસ નિવેદન અને પીએમ રિપોર્ટ બાદ સમગ્ર કેસમાં મેડિકલ પુરાવાઓ ખુબ જ મજબૂત બન્યા છે. આ ઘાતક બેક્ટેરિયા બાળકીના શરીરમાં ખીરાના માધ્યમથી અથવા કઈ રીતે પ્રવેશ્યા, તે દિશામાં હવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચાંદખેડા પોલીસ આ પીએમ રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી રહી છે, જેને પગલે આગામી દિવસોમાં જવાબદારો સામે મોટી કાર્યવાહી થઈ શકે છે.


