અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Land Grabbing Case Filed Against 3 Women for Illegal Possession of DySP’s House in Ahmedabad

![]()
Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી જ મકાન પચાવી પાડવાનો શિકાર બન્યા છે. વર્ષ 2020માં માનવતામાં રહેવા આપેલું મકાન ખાલી કરી, ખોટી રીતે કબ્જો જમાવનાર ત્રણ મહિલાઓ વિરુદ્ધ અમદાવાદ જિલ્લા કલેક્ટરના આદેશથી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 95 લાખ રૂપિયાની કિંમતના આ મકાનને ખાલી કરાવવા જતાં આરોપી મહિલાઓ દ્વારા છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.
અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ફરિયાદી અશોકસિંહ ગલતુભા ગોહીલ મૂળ ભાવનગરના વતની છે અને હાલમાં અમરેલી ખાતે DySP તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાના પરિવાર સાથે અમરેલીમાં રહે છે. વર્ષ 2020માં તેમણે પોતાના પુત્રના અભ્યાસ માટે અમદાવાદના ચાંદખેડા સ્થિત સકલ રેસીડેન્સીમાં એક મકાન ખરીદ્યું હતું. મકાન ખરીદ્યા બાદ અગાઉના મકાન માલિકની વિનંતીથી તેમણે આ મકાનમાં રહેતી ત્રણ મહિલાઓને બાળકીઓની શાળાની પરીક્ષા હોવાથી થોડો સમય માનવતાની રૂએ રહેવા દીધી હતી. પરંતુ આ મહિલાઓએ સમય મર્યાદા પૂરી થયા બાદ મકાન ખાલી કરવાના બદલે તેના પર ગેરકાયદે રીતે કબ્જો જમાવી દીધો હતો અને છેલ્લા 6 વર્ષથી મકાન ખાલી કર્યું ન હતું.
વિગતવાર ઘટના મુજબ, અશોકસિંહ ગોહીલે માર્ચ 2020માં પ્રવિણભાઈ અને મધુબહેન પંચાલ પાસેથી ચાંદખેડાની સકલ રેસીડેન્સીમાં ફ્લેટ નં. ઈ-201 દસ્તાવેજ કરી વેચાણથી રાખ્યો હતો. તે સમયે અગાઉના માલિક મધુબહેનની વિનંતીથી અશોકસિંહે ફ્લેટમાં ભાડે રહેતા જાનકીબહેન સત્યનારાયણ મોહરાણા, અંજલીબહેન મોહરાણા અને અંકીતાબહેન મોહરાણાને એપ્રિલ-2020 સુધી વિનામૂલ્યે રહેવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ કોરોના લોકડાઉન આવતા અશોકસિંહ બંદોબસ્તમાં વ્યસ્ત રહ્યા હતા.
સ્થિતિ સામાન્ય થયા બાદ જ્યારે તેમણે ફ્લેટ ખાલી કરવાનું કહ્યું ત્યારે આ ત્રણેય મહિલાઓએ ઇનકાર કર્યો હતો અને જો કોઈ મકાન ખાલી કરાવવા આવશે તો છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અગાઉના માલિક મધુબહેન પંચાલ જ્યારે મકાન ખાલી કરાવવા ગયા ત્યારે આરોપી મહિલાઓએ તેમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. કોઈ પણ ભાડા કરાર કે આધાર વગર છેલ્લા 6 વર્ષથી ગેરકાયદે રીતે કબ્જો જમાવી હાલની બજાર કિંમત મુજબ રૂપિયા 95 લાખની મિલકત પચાવી પાડવા બદલ આખરે કલેક્ટરના હુકમ બાદ ચાંદખેડા પોલીસ મથકમાં ત્રણેય મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
‘લેન્ડ ગ્રેબિંગ’ની ફરિયાદ ક્યારે નોંધાય?
ઉલ્લેખનીય છે કે, ‘લેન્ડ ગ્રેબિંગ’ ગુનામાં પીડિત દ્વારા સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરીમાં આ માટે અરજી કરે છે. આ પછી કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિ આ ફરિયાદની તપાસ કરે છે. જો સમિતિને લાગે કે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે, તો પોલીસને FIR નોંધવાનો આદેશ આપવામાં આવે છે. એટલે વર્ષ 2020ના અમરેલીના DySPનું મકાન પચાવી પાડવાના ગુનામાં કલેક્ટરના આદેશ વર્ષ 2026માં ફરિયાદ નોંધવામાં આવી છે.



