કચ્છ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ, આ શહેરોમાં 14 મે સુધી હીટવેવની આગાહી: ગુજરાત બન્યું અગનભઠ્ઠી! | Gujarat Weather Update Heatwave Yellow and Orange Alerts

![]()
Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હાલમાં ગુજરાતની આસપાસ ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, આકરી ગરમી બાદ રાહતના સમાચાર પણ છે. આગામી ત્રણ દિવસ પછી વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળશે.
હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે સમુદ્ર સપાટીથી 0.9 કિલોમીટર ઉપર છે, જ્યારે બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર 1.5 કિલોમીટરની ઉંચાઈ સુધી વિસ્તરેલું છે. આમ, અત્યારે એક સાથે 3 મુખ્ય સિનોપ્ટિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. જેના કારણે આગામી 14 મે સુધી કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કાળઝાળ ગરમીને લઈને હીટવેવની આગાહી કરવામાં આવી છે.
12 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
આજે(12 મે) કચ્છ, સુરેન્દ્રનગર, સુરત જિલ્લામાં હીટવેવનું ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, વડોદરા, બોટાદ, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો ઍલર્ટ છે.
13-14 મેની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમીનો માહોલ યથાવત્ છે, ત્યારે આગામી 13-14 મે દરમિયાન કચ્છ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં હીટવેવનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો
હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ત્રીજી સિસ્ટમ ઉત્તર પાકિસ્તાન પર 3.1 કિલોમીટરની ઉંચાઈ પર છે અને હાલમાં પવનો પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યા છે. 12થી 18 મે સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે અને આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ તે પછી તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે.
સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી સૌથી વધુ તપામાન
દરિયાકાંઠાના વિસ્તારોમાં દબાણ વધારે હોવાને કારણે 15થી 20 કિ.મી ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. જો આજે મંગળવારે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, ગાંધારા એરપોર્ટ પર 45.4 ડિગ્રી, સુરતમાં 42.2 ડિગ્રી, વિસ્તારમાં 38.2 ડિગ્રી અને કેશોદમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે.


