गुजरात

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મોકૂફ | Devotees Force Dakor Temple Trust to Pause Increased Manorath Fees



Dakor Ranchhodraiji Temple: પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રાજા રણછોડરાયજીના મંદિરમાં વિવિધ મનોરથોના ભાવમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને લઈને ભક્તો અને સેવકોમાં ફાટી નીકળેલા ભારે રોષ બાદ મંદિર ટ્રસ્ટને નમતું જોખવું પડ્યું છે. ટેમ્પલ કમિટીએ આ વિવાદાસ્પદ નિર્ણયને આગામી 15મી મે સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.

સેવકોની આમરણાંત ઉપવાસની ચીમકી

મંદિર કમિટી દ્વારા આઠમીમી મેના રોજ અચાનક જ ધજા, રાજભોગ અને કુંજ મનોરથના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક સેવક સમુદાયે આક્રમક વલણ અપનાવ્યું હતું. 40થી વધુ સેવક ભાઈઓએ આ વધારા સામે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની અરજી આપી સમર્થન જાહેર કરતા મામલો ગરમાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર

ભાવ વધારાથી બચવા ભક્તોની દોટ

આ નવો ભાવ વધારો 11મી મેથી અમલી બનવાનો હતો. તેનાથી બચવા માટે રવિવારે મોટી સંખ્યામાં ભક્તોએ પોતાની માનતા પૂરી કરવા અને મનોરથો માટે મંદિરે દોટ મૂકી હતી. ખાસ કરીને ઠાકોરજીના શિખર પર ધજા ચઢાવવાના ભાવમાં ચાર ગણો વધારો કરવામાં આવતા મધ્યમવર્ગીય ભક્તોમાં ભારે આઘાત જોવા મળ્યો હતો.

15મી મેના રોજ લેવાશે અંતિમ નિર્ણય

ભક્તો અને સેવકોના વ્યાપક અસંતોષને ધ્યાને રાખીને નવનિયુક્ત ટ્રસ્ટી ગીરીશભાઈ દાણી અને સેવક આગેવાનો સાથે પરામર્શ કરવામાં આવશે. આગામી 15મી મેના રોજ યોજાનારી આ બેઠકમાં સર્વસંમતિ સાધ્યા બાદ જ મનોરથના ભાવો અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.

વારંવારના વિવાદોથી આસ્થા પર અસર

વૈષ્ણવ ભક્તોમાં એવી પણ ટીકા થઈ રહી છે કે અગાઉ ‘વીઆઈપી દર્શન’ના શુલ્ક વખતે પણ આવો જ વિરોધ થયો હતો. મંદિર તંત્ર દ્વારા વારંવાર લેવાતા આવા મનસ્વી નિર્ણયોને કારણે મંદિરની ગરિમા અને ભક્તોની આસ્થા પર નકારાત્મક અસર પડી રહી છે. ભક્તોનું કહેવું છે કે ભગવાનના ધામમાં વ્યવહારિક નિર્ણયો લેતા પહેલા સામાન્ય જનતાની લાગણીનો વિચાર કરવો અનિવાર્ય છે.



Source link

Related Articles

Back to top button