ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago found in the river

![]()
વડોદરા,ગોત્રી વિસ્તારમાં રહેતા અને ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ કોટણા ગામે મહિસાગર નદીમાંથી મળી આવી હતી. લોનના ટેન્શનમાં તેણે આપઘાત કર્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યંું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોત્રી જલારામ મંદિરની પાછળ ગાયત્રીનગરમાં રહેતો ૪૫ વર્ષનો મહેન્દ્ર રમણભાઇ તડવી ખાનગી કંપનીમંાં પટાવાળા તરીકે કામ કરતો હતો. ગત ૫ મી તારીખે તે ઘરે મોબાઇલ ફોન મૂકીને કોઇને કહ્યા વિના નીકળી ગયો હતો. જે અંગે પરિવારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી હતી. પરંતુ, તેનો કોઇ પતો લાગ્યો નહતો. પરિવારે ફોટા સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી.ગઇકાલે સવારે સાડા અગિયાર વાગ્યે કોટણા ગામ મહિસાગર નદીમાંથી તેની લાશ મળી આવી હતી. સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટના આધારે પરિવારજનોએ આવીને મૃતકની ઓળખ કરી હતી. નંદેસરી પોલીસ સ્ટેશનના હે.કો. નરસિંહભાઇએ હાથ ધરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, મહેન્દ્ર તડવીને મકાનની લોન ચાલતી હતી. લોનના હપ્તાના બે થી ત્રણ હપ્તા ચઢી જતા તે ટેન્શનમાં રહેતો હતો. તેના કારણે જ તેણે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.


