गुजरात

પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail applications of 2 accused in case of kidnapping and attempted murder over love affair rejected



Vadodara Court : વડોદરાની સેશન્સ કોર્ટ દ્વારા બે અલગ અલગ રેગ્યુલર જામીન અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદાર આરોપી નરેન્દ્રગીરી બાલાગીરી ગોસ્વામી (રહે. લક્ષ્મી ટોકીઝ પાસે, વસો, ખેડા) તથા રુદ્રકુમાર રાજેશભાઈ રાવળ (રહે. શિવમ સોસાયટી, લાલબાગ બ્રિજ પાસે, માંજલપુર) દ્વારા જામીન માગવામાં આવ્યા હતા. બંને આરોપીઓ સામે છાણી પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ અને અપહરણનો ગુનો નોંધાયેલ છે અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે તપાસ અધિકારીએ ખોટી રીતે બંનેને આરોપી બનાવ્યા છે અને ગુનામાં તેમની સંડોવણી દર્શાવતો કોઈ મજબૂત પુરાવો નથી.

જ્યારે સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતાં રજૂઆત કરી હતી કે નરેન્દ્રગીરી ગોસ્વામી ગુનાનો મુખ્ય આરોપી છે અને ગુના સ્થળે તેની હાજરી સ્થાપિત થઈ ચૂકી છે. મેજિસ્ટ્રેટ સમક્ષ યોજાયેલી ઓળખ પરેડમાં ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. ફરિયાદીનું અપહરણ કરવામાં નરેન્દ્રગીરીએ સક્રિય ભૂમિકા ભજવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સરકારી વકીલે વધુમાં દલીલ કરી હતી કે નરેન્દ્રગીરીએ પોતાના સાગરીતો સાથે મળીને કાવતરું રચી ફરિયાદીનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગુનાની ગંભીરતા તથા પ્રથમદર્શનીય પુરાવાઓને ધ્યાનમાં લેતા તેને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

રુદ્રકુમાર અંગે દલીલ કરવામાં આવી હતી કે ગુના પહેલાં અને બાદના સતત બે દિવસ દરમિયાન તેની મુખ્ય આરોપી નરેન્દ્રગીરી સાથે મોબાઈલ પર વાતચીત થઈ હતી. તે ફરિયાદીની મોપેડનો પીછો કરી લોકેશન મુખ્ય આરોપીને પહોંચાડતો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓએ એકબીજાને મદદરૂપ બની ગુનો આચર્યો હોવાનું પ્રથમદર્શનીય રીતે સામે આવે છે. ખાસ કરીને નરેન્દ્રગીરી ગોસ્વામી મુખ્ય આરોપી તરીકે સક્રિય ભૂમિકામાં હોવાનું જણાય છે.

કોર્ટે વધુમાં અવલોકન કર્યું કે હાલના તબક્કે આરોપીઓની સંડોવણીનો ઇનકાર કરી શકાય તેમ નથી અને જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તપાસને નુકસાન પહોંચવાની શક્યતા છે. જેના આધારે કોર્ટે નરેન્દ્રગીરી અને રુદ્રકુમારની રેગ્યુલર જામીન અરજીઓ નામંજૂર કરી છે.

ઉલ્લેખનીય છે કે છાણી વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવતા ગીરીશભાઈ 8 એપ્રિલની રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે છાણી-સોખડા રોડ પરથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. પછી સોજીત્રા ગામ નજીક પુલ પરથી ફરિયાદીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે સદનસીબે ફરિયાદીના હાથમાં પિલર આવી જતા તે લગભગ ત્રણ કલાક સુધી પાણીમાં ટક્યો રહ્યો હતો અને સવારે બહાર નીકળી પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

આ સમગ્ર ઘટનામાં પોલીસે પાંચ અપહરણકારોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પ્રેમ પ્રકરણનો એંગલ બહાર આવતા અપહૃત ગીરીશભાઈની પત્ની ફાલ્ગુનીની સંડોવણી પણ સામે આવી હતી, જેના આધારે તેની પણ ધરપકડ કરાઈ હતી.



Source link

Related Articles

Back to top button