गुजरात

સુરાપુરાની ખાંભી ઉખેડયાની શંકાથી સાસરીયા પક્ષે જમાઈને વેંતરી નાખ્યો | In laws disown son in law on suspicion of uprooting Surapura’s pillar



બાબરા નજીક થયેલી કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો : ફોન પર હત્યાની ધમકીઓ આપ્યા બાદ સમાધાન કરવા બોલાવીને મારી નાખ્યો : 9 ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ

બાબરા, : બાબરાનાં કરીયાણા ગામની સીમમાં એક ૨૫ વર્ષીય યુવાનની તેના જ સાસરીયા પક્ષના સભ્યો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો સુરાપુરાની ખાંભીઓ ઉખેડી નાખવાની શંકા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે નવ ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી ચાલુ કરી છે.

મૂળ વિંછીયા તાલુકાના ફૂલઝર ગામનો વતની અને હાલ મોરબી મુકામે રહી મજૂરી કામ કરતો ભરત વલ્લભભાઈ ઉગરેજીયા (ઉં. 25) ગઈકાલે બપોરે મોરબીથી કોર્ટનું કામ પતાવી પોતાની કાર લઈને બાબરા તરફ જવા નીકળ્યો હતો. જે દરમિયાન કરીયાણા-જીવાપર રોડ પર આવેલા મામાદેવના મંદિર પાસે કેટલાક લોકોએ કાર આંતરી હતી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. જેમાં મૃતક યુવાનનાં સાસરીયા પક્ષની જ સંડોવણી ખુલી છે. 

મૃતકની પત્ની આશાબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, બાબરાના સુકવળા ગામે તેમના પિયર પક્ષ જીલીયા પરિવારના સુરાપુરાની ખાંભીઓ આવેલી છે. ચારેક દિવસ પહેલા આ ખાંભીઓ કોઈએ ઉખેડી નાખી હતી. જેથી તેણીના પિતરાઈ ભાઈઓ અને પરિવારજનોને શંકા હતી કે આ કૃત્ય પાછળ તેમના જમાઈ ભરતભાઈનો હાથ છે. આ બાબતે અગાઉ પણ ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. બાદમાં ખાંભી બાબતે સમાધાન કરવું છે તેમ કહી બાબરા બોલાવ્યો હતો. જોકે, આ માત્ર એક જાળ હતી. પૂર્વનિયોજિત કાવતરા મુજબ, જીવલેણ હથિયારો સાથે હુમલો કરી જમાઈનું ઢીમ ઢાળી દીધું હતું. 

પોલીસે આ મામલે સાસરીયા પક્ષના કીરણ મનુભાઈ જીલીયા, જગદિશ મુકેશ જીલીયા, મહેશ ભનુભાઈ જીલીયા, પરેશ મુકેશભાઈ જીલીયા, રોહીત ધીરૂભાઈ જીલીયા, મયુર ભનુભાઈ જીલીયા તથા અન્ય 3 અજાણ્યા સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધ્યો છે, જેમાં મુખ્યત્વે સાસરીયા પક્ષના પિતરાઈ ભાઈઓ અને ભાણેજનો સમાવેશ થાય છે.



Source link

Related Articles

Back to top button