વડોદરાને પાણી આપતી મહીના કાંઠાના રહીશો તરસ્યા,બે દિવસમાં પાણીના વચનો આપનારા નેતા ચૂપ..અનગઢમાં ટેન્કર રાજ | People have to travel half kilometer away due to lack of water in Anagarh

વડોદરાઃ વડોદરા શહેરમાં ફિલ્ટર કરેલું પાણી પુરું પાડતી મહીસાગરના કાંઠા વિસ્તારના રહીશો માટે પાણી માટે વલખાં મારી રહ્યા છે.વડોદરા પાસેના અનગઢ ગામના વડિયા વગામાં છેલ્લા ૨૪ દિવસથી પાણી માટે લોકો પોણો કિલોમીટર સુધી ધક્કા ખાઇ રહ્યા છે અને હવે ટેન્કરથી પાણી મેળવી રહ્યા છે,પરંતુ બે દિવસમાં પાણી લાવી આપવાની ખાતરી આપનારા નેતાઓ ક્યાંય નજરે પડતા નથી.
વડોદરા નજીક મહીસાગરના કાંઠા વિસ્તારમાં આવેલા અનગઢના વડિયા વગામાં આશરે બે હજાર જેટલા ગ્રામજનો રહે છે.પરંતુ સંપ દૂર હોવાથી અને તેમાં પુરતું પાણી નહિ આવતું હોવાથી છેલ્લા ૨૪ દિવસથી લોકો પાણી માટે ટળળી રહ્યા છે. વાત આંદોલન સુધી પહોંચી ત્યારે પાણી ુપુરવઠાના અધિકારીઓ દોડતા થયા છે પરંતુ હજી કોઇ ઉકેલ આવ્યો નથી.
સ્થાનિક યુવકોના કહ્યા મુજબ, તાજેતરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બીરેન પટેલ અને તાલુકા પંચાયતના સદસ્ય દિલીપસિંહ ગોહિલને વિજેતા બનાવ્યા હતા. અમને બે દિવસમાં પાણીનો પ્રશ્ન હલ થઇ જશે તેવી અમને ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હજી પાણી આવ્યું નથી.
લખન દરબારે કહ્યું હતું કે,પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ માત્ર સંપની ઉપર પતરાં મારીને ચાલ્યા ગયા છે.ગ્રામજનોને બાઇક પર પોણો કિમી દૂર પાણી લેવા જવું પડતું હોવાથી બે દિવસથી પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી છે.પરંતુ આવી તકલીફ ક્યાં સુધી સહન કરવી.તંત્ર આંદોલનની ભાષા સમજતું હોય તો તે માટે પણ હવે તૈયારી છે.
ગામના સંપમાં દારૃની બોટલ અને ગંદકી જોઇ યુવકો રોષે ભરાયા,જાતે સફાઇ કરી
અનગઢના વડિયાવગામાં પાણી પુરું પાડતા સંપમાં દારૃની બોટલો અને ગંદકી જોઇ યુવકો રોષે ભરાયા હતા.તેમણે કહ્યું હતું કે,સંપની સફાઇની જવાબદારી ગ્રામ પંચાયતની છે.પરંતુ સંપ લાંબા સમયથી ખુલ્લો હતો અને તેમાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી.આખરે યુવકોએ સંપની સફાઇ કરી હતી.જ્યારે પાણી પુરવઠા વિભાગે હાલ પુરતા પતરાં મૂકાવ્યા હોવાનું લોકોએ જણાવ્યું છે.



