જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third incident of electric wire theft reported in Jamnagar

![]()
Jamnagar Theft Case : જામનગર શહેરમાં નવા બની રહેલા મકાનોમાંથી ઇલેક્ટ્રિક વાયરનાં બંડલ ચોરી થવાના બનાવોમાં વધારો નોંધાયો છે. તાજેતરમાં આવો ત્રીજો બનાવ સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને આરોપીઓને ઝડપવા સઘન તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, શહેરના વાલ્કેશ્વર વિસ્તાર પાછળ આવેલી સદગુરૂ કોલોનીમાં એક નવા બનેલા મકાનમાં અજાણ્યા શખ્સોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આ બનાવ તા.4 ઓક્ટોબર 2025થી તા.8 ઓક્ટોબર 2025 દરમિયાન કોઈપણ સમયે બન્યો હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદી પરેશભાઈ ડાયાલાલ ચાવડા (ઉંમર 47 વર્ષ), રહે. સદગુરૂ કોલોની, જામનગર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નવા બની રહેલા મકાનના નીચેના માળે આવેલ બાથરૂમમાંથી અજાણ્યા ચોરોએ અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિક કેબલના કુલ 22 બંડલ, અંદાજિત કિંમત રૂપિયા 52,500 જેટલાની ચોરી કરી લઈ ગયા હતા.
આ અંગે જામનગર શહેરના સિટી “બી” ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં આવા ચોરીના બનાવોની સંખ્યા વધતા પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. આરોપીઓને ઝડપવા માટે સીસીટીવી ફૂટેજ સહિત અન્ય ટેક્નિકલ અને માનવીય સૂત્રોના આધારે તપાસ ચાલી રહી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં ચોરી કરનાર ગેંગને ઝડપી લેવામાં આવશે.



