જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત | 4 children tragically die after drowning in Alansagar lake in Jasdan

![]()
તળાવની પાળે સાયકલ, કપડાં પડયા હોવાથી તપાસ કરાતા દુર્ઘટના સામે આવી વિંછીયા રોડ પર રહેતા ચારેય મિત્રો ઘરે જાણ કર્યા વિના તળાવે ન્હાવા જતા ઊંડા પાણીમાં ગરકઃ પરિવારો હતપ્રત
જસદણ, : જસદણ પાસેના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યા હતા. વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર મિત્રો રજા હોવાથી ઘરે કોઇને કહ્યા વિના તળાવમાં ન્હાવા ગયા હતા અને ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા. કરૂણ બનાવના પગલે પરિવારો હતપ્રત બની ગયા હતા. બનાવથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી છે.
જસદણથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામ પાસેનું આલણસાગર તળાવ ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. ગઇકાલે રજા હોવાથી જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર બાળકો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડયા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી હતી.
આ કરૂણ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 14 વર્ષીય રામુ ભાયાભાઈ રાઠોડ, 10 વર્ષીય કાળુ ભરતભાઈ રાઠોડ, 15 વર્ષીય રાજવીર સામતભાઈ રાઠોડ અને 15 વર્ષિય કિશન મનસુખભાઈ રાઠોડના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
એકસાથે 4 બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ્યારે આ માસૂમોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે વાલીઓના હૈયાફાટથી વાતાવરણ ગમગીન બન્યું હતું.જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



