આજે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના કૂલ 73,27,588 મતદારો 5575 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે | voters from 8 districts of will shape the political fate of 5575 candidates

![]()
ગત વર્ષોમાં જે ચાલ્યું તેનું પુનરાવર્તન જોઈએ કે પરિવર્તન? આજે નિર્ણયનો દિવસ : સત્તા મેળવવા પક્ષો-ઉમેદવારોમાં તીવ્ર સ્પર્ધા પણ મતદારો ઉદાસીન : 24.13 લાખ શહેરી, 49.14 લાખ ગ્રામ્ય મતદારોઃ 4 મનપાની 228 બેઠકો, 18 પાલિકાની 506, જિ.પં.ની 213 તથા 55 તા.પં.ની 998 બેઠકો માટે મતદાન થશે : 89બેઠકો બીનહરીફ
રાજકોટ, : મતદારોમાં નિરાશા, સુસ્ત પ્રચાર અને કાળઝાળ ગરમી વચ્ચે અંતે ચૂંટણીનો દિવસ આવી ગયો છે. આવતીકાલ રવિવાર તા.26-4-2026,વૈશાખ સુદ- 10ના સવારે 7 વાગ્યાથી સાંજે 6વાગ્યા સુધી તાલુકા અને જિલ્લા પંચાયતો, પાલિકા અને મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્રના કૂલ 11 પૈકી રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, સોમનાથ, પોરબંદર અને અમરેલી એ 8 જિલ્લામાં સઘન મતદારયાદી સુધારણા બાદ આજની સ્થિતિએ કૂલ 73,27,588 નાગરિકોને મત આપવાનો અધિકાર છે. જેમનું મતદાન કૂલ 5575 ઉમેદવારોનું રાજકીય ભાવિ તેમજ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કેવું શાસન આવશે તે નિર્ધારિત કરશે. આ મતદારોએ આવતીકાલે એ અંતિમ નિર્ણય લેવાનો રહેશે કે ગત પાંચ વર્ષોમાં પાલિકા-પંચાયતોના શાસનમાં જે કાંઈ થયું, જે કાંઈ ચાલ્યું તેનું પુનરાવર્તન જોઈએ છે કે નવું પરિવર્તન લાવવું છે.
આવતીકાલે 73.23 લાખ મતદારોમાં 22 નગરો-મહાનગરોમાં 24,13,176 શહેરી મતદારોમાં મતદાતા કાઉન્સિલરો અર્થાત્ કોર્પોરેટરોને ચૂંટશે. જ્યારે 49,14,412 મતદારો પૈકી મતદાન કરનારા તાલુકા અને જિલ્લા પંચાયતોના સભ્યોને ચૂંટશે. ઉલ્લેખનીય છે કે એસ.આઈ.આર. પછી શહેર અને ગ્રામ્યમાં બન્ને સ્થળે નામ હોય તેવા મતદારોથી માંડીને સ્થળાંતર કરનારા, અવસાન પામેલા સહિત લાખો મતદારોના નામો યાદીમાંથી કમી કરાયા છે.
ચૂંટણી પૂર્વે જિલ્લા પંચાયતોની 3 અને તાલુકા પંચાયતોની 24 બેઠકો તથા 4 મહાનગરપાલિકામાં 12 બેઠકો અને પાલિકાની કૂલ 50 બેઠકો સહિત કૂલ 89 બેઠકો બીનહરીફ થઈ છે. જે અન્વયે આવતીકાલે 8 જિ.પં.ની 213 બેઠકો, 55 તાલુકા પંચાયતોમાં 998 બેઠકો માટે મતદાન થશે. રાજકોટની તમામ 72 બેઠકો તેમજ જામનગરની 63, મોરબીની 52 અને સુરેન્દ્રનગરની 41 બેઠકો ઉપર મતદાન થશે. જામનગર અને મોરબી મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમવાર મતદાન થઈ રહ્યું છે. જિલ્લા પંચાયતો અને ખાસ કરીને મહાનગરપાલિકામાં સત્તા મેળવવા ઉમેદવારો અને પક્ષો વચ્ચે તીવ્ર રસાકસી છે પરંતુ, મતદારોમાં અનેકવિધ કારણોથી નિરૂત્સાહ જોવા મળ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે આખો દિવસ ચૂંટણી તંત્ર દ્વારા ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન્સ (ઈ.વી.એમ.અર્થાત્ વિજાણુ મતદાન યંત્રો) તેમજ અવિલોપ્ય સ્યાહી સહિત બેલેટ યુનિટ,કંટ્રોલયુનિટ વગેરેનું ડિસ્પેચીંગ શરૂ કરાયું હતું અને ફરજ પરના સ્ટાફને ધોમધખતા તાપમાં ડિસ્પેચીંગ સેન્ટર ખાતે એકત્ર કરીને ત્યાંથી પોતપોતાના મતદાન મથકોએ રવાના કરાયા હતા. આ ચૂંટણી સ્ટાફ આજે રાત્રિ રોકાણ ત્યાં જ કરશે અને કાલે સાંજે મતદાન પૂરૂં થયા બાદ ગણત્રી કરીને માહિતી રજૂ કરી દે પછી નિરાંતનો શ્વાસ લેશે. દરેક મતદાન મથકો ઉપર આજે પોલીસ પણ તૈનાત કરી દેવાઈ છે.



