VIDEO | છોટાઉદેપુર: ‘પહેલા પુલ બનાવો, પછી…’, ચૂંટણી પ્રચારમાં ગયેલા ભાજપ નેતાને નદીએ લઈ જઈ ગ્રામજનોએ અરીસો બતાવ્યો | BJP Leader Taken to Riverbank by Villagers Demanding Bridge In Chhota Udepur

![]()
Chhota Udepur News: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન છોટાઉદેપુરના ઝીંઝરવાની ગામે ચૂંટણી પ્રચારમાં ગયેલા ભાજપ નેતાને નદીએ લઈ જઈને કહ્યું કે, ‘પહેલા પુલ બનાવો…’ સ્થાનિકોએ પુલ બનાવવા માટે આક્રમક રીતે રજૂઆત કરતાં ભાજપ નેતા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા.
ચૂંટણી પ્રચારમાં ગયેલા ભાજપ નેતાને નદીએ લઈ જઈ ગ્રામજનોએ અરીસો બતાવ્યો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ છે. વિકાસની ગુલબાંગો વચ્ચે છોટાઉદેપુરના ઝીંઝરવાની ગામે ચૂંટણીના પ્રચારમાં પહોચેલા ભાજપ નેતા સંગ્રામસિંહ રાઠવાને બોરવાડા ફળિયાના લોકોએ નદી ઉપર પુલ બનાવવાની માગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.
તમને જણાવી દઈએ કે, છોટાઉદેપુરના ઝીંઝરવાની ગામના બોરવાડા ફળિયામાં 1100 જેટલાં લોકો રહે છે, સ્થાનિકોની જમીનો નદીના સામેના કિનારે આવેલી છે. આમ, પુલના અભાવે ખેડૂતોને ખેતી કરવા માટે જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે. તેમજ ઝોઝ અને છોટાઉદેપુર જવા માટે તેઓને 15 કિલોમીટર વધારાના કાપવા પડે છે. જેમાં ખેડૂતોની ખેત પેદાશો લાવવા માટે 15 કિલોમીટરનો ફેરો ખાઈને ખેત પેદાશો લાવવી પડે છે. આવી સ્થિતિમાં સ્થાનિકો અને સરપંચે વારંવાર પુલ બનાવવા માટે રજૂઆત કરવા છતાં છોટાઉદેપુરના ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રજાના પ્રશ્નોને ધ્યાને લીધા ન હતા.
જ્યારે માજી રાજ્યસભાના સાંસદના પુત્ર ભાજપમાં જોડાયા બાદ આ ગામમાં ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા, ત્યારે ગ્રામજનોએ પુલ બનાવવા મામલે સંગ્રામસિંહ રાઠવા સામે રોષ વ્યક્ત કર્યો હતો. વિકાસની ગુલબાંગો પોકારતા નેતાને રજૂઆતો કરતાં તેમની પાસે કોઈ જવાબ ન હતો. આમ, ચૂંટણી પ્રચારમાં પહોંચેલા સંગ્રામ રાઠવા પર સ્થાનિકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.



