રાજસ્થાનની પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આગ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરવાના હતા લોકાર્પણ | pachpadra refinery fire ahead of pm modi inauguration balotra rajasthan news

![]()
Balotra Refinery Fire Break Out: રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી ઓઇલ રિફાઇનરી પચપદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. PM નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે, તેના બરાબર એક દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે.
ધુમાડાના ગોટેગોટાથી ફફડાટ
આગ એટલી વિકરાળ છે કે રિફાઇનરીના પ્લાન્ટમાંથી કાળા ધુમાડાના ઊંચા ગોટેગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે. આગ લાગતાં જ રિફાઇનરી પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરચક્ર ગતિમાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : BREAKING: જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
રાહત અને બચાવ કામગીરી ચાલુ
ઘટનાની જાણ થતાં જ રિફાઇનરીના કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે. ફાયર ફાઇટરોની અનેક ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
આવતીકાલે PM મોદી આપવાના છે ભેટ
ઉલ્લેખનીય છે કે 21 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મેગા પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું છે. આ રિફાઇનરી ભારતની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરીઓમાંની એક માનવામાં આવે છે. ઉદ્ઘાટનના માત્ર 24 કલાક પહેલા જ સર્જાયેલી આ આગની ઘટનાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.
(સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે)



