નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં, શનિ-રવિમાં 1.50 લાખ તો કુલ 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા | Narmada Panchkoshi Parikrama 1 50 lakh devotees gathered on Saturday and Sunday

![]()
Narmada Panchkoshi Parikrama: નર્મદા પંચકોશી પરિક્રમા હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આગામી અમાસના દિવસે આ પરિક્રમા પૂર્ણ થશે, જેને હવે માત્ર 4 દિવસ બાકી છે. શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં અંદાજે 8 લાખ જેટલા પરિક્રમાવાસીઓએ નર્મદા મૈયાની પરિક્રમા કરી છે. ગત શનિ-રવિની રજાઓ દરમિયાન જ દોઢ લાખ જેટલા ભક્તો નોંધાયા હતા, જેના કારણે રાત્રિના સમયે પણ પરિક્રમાના માર્ગો ભક્તોથી ઉભરાયા હતા અને પાર્કિંગ સુવિધાઓ પણ ટૂંકી પડી હતી.
નર્મદા પરિક્રમા કરવા ભક્તોનો ભારે ઘસારો
નર્મદા પરિક્રમા હવે પૂર્ણાહુતિના આરે છે ત્યારે ભક્તોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. વચ્ચેના 10થી 12 દિવસ દરમિયાન રાજ્યની શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલતી હોવાથી ભીડમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે પરીક્ષાઓ પૂર્ણ થતાં જ ફરી એકવાર શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ગત સપ્તાહમાં થયેલો ભારે ધસારો જોતાં બાકીના દિવસોમાં પણ ભક્તોની સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતા છે.
ચૂંટણીના કારણે સુરક્ષા વ્યવસ્થા પર અસર
હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી વહીવટી તંત્ર અને સુરક્ષા દળોના જવાનોને ચૂંટણીલક્ષી કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રની વ્યસ્તતા વચ્ચે પણ ભક્તો પોતાની અખૂટ શ્રદ્ધા સાથે કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર શાંતિપૂર્ણ રીતે પરિક્રમા કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ પોતાની રીતે જ વ્યવસ્થાઓ જાળવીને ભક્તિભાવપૂર્વક પાવન પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું
ચૈત્ર વદ અમાસના રોજ પૂર્ણાહુતિ
ભારતીય સંસ્કૃતિમાં આસ્થા અને સાધનાનું કેન્દ્ર ગણાતી ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’નો ગુરુવારે (19 માર્ચ 2026) ચૈત્ર સુદ એકમથી વિધિવત પ્રારંભ થયો છે. એક મહિના સુધી ચાલનારી આ આસ્થાની યાત્રા 18 એપ્રિલ 2026(ચૈત્ર વદ અમાસ)ના રોજ પૂર્ણ થશે.



