ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ | Chandkheda Dosa Case Update: Store Employees Quizzed as Forensic Reports Awaited

![]()
Chandkheda Dosa Case Update: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનામાં પોલીસ તપાસ તેજ બની છે. આ મામલે આજે (14મી એપ્રિલ) પોલીસે જે પ્રોવિઝન સ્ટોર પરથી ખીરું ખરીદવામાં આવ્યું હતું, તે સ્ટોરના બે યુવકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન તેડાવ્યા છે. બીજી તરફ, પોલીસ હવે એફએસએલ અને વિશેરા રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહી છે.
માતા-પિતાની કલાકો સુધી પૂછપરછ કરાઈ હતી
બાળકીઓના માતા-પિતા વિમલભાઈ અને ભાવનાબેનને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગઈકાલે (13મી એપ્રિલ) બપોરે 2 વાગ્યાથી મોડી રાત સુધી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, પૂછપરછ દરમિયાન માતા-પિતાએ એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે ખીરું ખાધા બાદ જ બાળકીઓની તબિયત બગડી હતી અને તેમના મોત થયા હતા. પોલીસને અત્યાર સુધીની પૂછપરછમાં કોઈ ચોંકાવનારી નવી હકીકત મળી નથી.
પોલીસે હાલમાં ખીરું વેચનાર વેપારીઓની પૂછપરછ શરૂ કરી છે જેથી એ જાણી શકાય કે ખીરું ક્યાંથી આવ્યું હતું અને તેમાં કોઈ ભેળસેળ હતી કે કેમ. આ તમામ પુરાવાઓ એકઠા કર્યા બાદ જ પોલીસ કોઈ ચોક્કસ તારણ પર પહોંચશે.
ડાયરીમાં ‘પુત્ર પ્રાપ્તિ’ના લખાણ અંગે ઘટસ્ફોટ
આ ઘટના અંગે ચાંદખેડા પોલીસના જણાવ્યાનુસાર, તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી હતી જેમાં પુત્ર પ્રાપ્તિ અંગેની વાતો લખેલી હતી. આ અંગે માતા ભાવનાબેનની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મને પહેલેથી જ એક દીકરી હતી, તેથી જો બીજું બાળક દીકરો આવે તો પરિવાર પૂર્ણ થાય તેવી દરેક મધ્યમવર્ગીય પરિવાર જેવી એક સામાન્ય ઈચ્છા હતી. આ બાબતને કોઈ અંધશ્રદ્ધા કે અન્ય શંકાસ્પદ એન્ગલ સાથે અત્યારે સાંકળવામાં આવી નથી.’
FSL રિપોર્ટ બાદ જ ખુલશે મોતનું રહસ્ય
ચાંદખેડા પીઆઈ (PI) એ જણાવ્યું હતું કે, ‘આ કેસમાં સૌથી મહત્ત્વનો પુરાવો એફએસએલ અને વિશેરા રિપોર્ટ છે, જેને આવતા હજુ 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે. બાળકીઓના શરીરમાંથી ઝીંક અને એલ્યુમિનિયમ જેવા તત્વો મળ્યા હોવાની વાત છે, જેની સત્તાવાર પુષ્ટિ અહેવાલો આવ્યા બાદ જ થશે. રિપોર્ટ આવ્યા બાદ કેડી હોસ્પિટલના ડોક્ટરોનો પણ અભિપ્રાય લેવામાં આવશે કે જ્યારે બાળકીઓને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેમની સ્થિતિ શું હતી અને કયા પ્રકારની દવાઓ આપવામાં આવી હતી.’



