સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં | Gujarat Elections: Senior Leaders Quit BJP Congress Over Ticket Disputes

![]()
Gujarat Local Body Elections 2026: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ વાગતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોમાં આંતરિક વિખવાદ અને નારાજગીના વંટોળ ઉઠ્યા છે. ટિકિટ ફાળવણીમાં વફાદારોની અવગણના અને જાતિગત સમીકરણોને લઈને દિગ્ગજ નેતાઓએ કેસરીયો અને પંજો છોડવાની શરૂઆત કરી દીધી છે.
નર્મદા ભાજપમાં મોટો ભડકો
નર્મદા જિલ્લાની 150 બેઠકોના ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં ભડકો થયો છે. નાંદોદ તાલુકા પંચાયતની 12-પોઈચા (ST મહિલા અનામત) બેઠક પર નીલિમાબેન રોહિતને ટિકિટ અપાતા વિરોધ શરૂ થયો છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના નજીક ગણાતા અને પૂર્વ જિલ્લા મંત્રી સુરેશ વસાવાએ પક્ષ છોડ્યો છે. તેણે આક્ષેપ છે કે અન્ય સમાજમાં લગ્ન કરનાર દીકરીને આદિવાસી અનામત બેઠક પર ટિકિટ આપી પક્ષે આદિવાસી સમાજના બંધારણીય અધિકારોનું હનન કર્યું છે. નોંધનીય છે કે, તલાટી તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સુરેશ વસાવાનું પરિવાર 1987થી ભાજપ સાથે જોડાયેલ છે. તેના પત્ની રાજપીપલા પાલિકામાં સભ્ય રહી ચૂક્યા છે.
ધોળકા કોંગ્રેસમાં ભંગાણ
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં મેન્ડેટની વહેંચણી મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાએ રાજીનામું ધરી દીધું છે. તેમે આક્ષેપ કર્યો છે કે વફાદાર કાર્યકરોને બદલે ભાજપ સાથે સાઠગાંઠ ધરાવતા ઉમેદવારોને પક્ષના મોટા હોદ્દેદારોએ ટિકિટ આપી દીધી છે. ‘સત્તાવાર લડાઈમાં ઘરના જ નડ્યા’ હોવાનું જણાવી તેણે પક્ષની કાર્યપદ્ધતિ સામે રોષ વ્યક્ત કર્યો છે, જે કોંગ્રેસની છબીને નુકસાન પહોંચાડી શકે છે.
અમરેલીમાં NSUI પ્રમુખનો પક્ષપલટો
અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું યુવા સંગઠન નબળું પડ્યું છે. જિલ્લા NSUI પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ સાહિલ શેખને ભાજપમાં આવકાર્યા હતા. પક્ષમાં જોડાતાની સાથે જ સાહિલ શેખને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 9માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ પક્ષપલટાથી કોંગ્રેસની વોટબેન્ક અને યુવા કાર્યકરોમાં ગાબડું પડ્યું છે, જ્યારે ભાજપ લઘુમતી મતો પર પકડ મજબૂત કરવા ઉત્સાહિત છે.
છોટાઉદેપુર જ્લ્લામાં ભાજપ સામે બળવો
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખના પતિએ ભાજપમાંથી બળવો કરીનેને બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પર અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીના ખાસ ગણાતા શિવમહા રાઉલ જી ભાજપના નિષ્ઠાવાન કાર્યકર ગણાતા તેની જ ટિકિટ કાપવામાં આવતા બળવો કર્યો છે. બોડેલી તાલુકામાં ભાજપમાં બળવો થતા આગામી દિવસોમાં ભાજપ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારે નુકશાન થશે આ બળવાથી ભાજપ માં હડકંપ મચી ગયો છે.
મોરબીમાં પૂર્વ કાઉન્સિલર અને મંત્રી વચ્ચે ‘તુતુ-મેંમેં’
મોરબી ભાજપમાં અસંતોષ ચરમસીમાએ જોવા મળ્યો છે. વોર્ડ નં. 6ના પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાની ટિકિટ કપાતા તેમણે કાંતિ અમૃતિયા સાથે ઉગ્ર દલીલો કરી હતી. કચેરીમાં જ બંને નેતાઓ વચ્ચે રકઝક થયા બાદ અનોપસિંહ જાડેજાએ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
કલોલ અને ડભોઇમાં ‘આયાતી’ ઉમેદવારોના વિરોધમાં સામૂહિક પક્ષપલટો
કલોલના પલિયડ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરની પત્નીને ટિકિટ અપાતા ભાજપના 400 કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. વર્ષોથી કામ કરતા કાર્યકરોએ નારાજગી સાથે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ચાણોદ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપમાંથી ટિકિટ ન મળતા મમતા પટેલે બળવો કર્યો છે અને કોંગ્રેસમાં જોડાઈને ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
છોટા ઉદેપુર અને આણંદમાં સક્રિય કાર્યકરો મેદાનમાં
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને સંખેડા APMCના પૂર્વ ચેરમેને પક્ષના નિર્ણય સામે બળવો કરી પાણેજ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે આણંદના પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો રિપીટ કરતા નારાજગી ફેલાઈ છે. મહિલા કિસાન મોરચાના ઉપપ્રમુખ નયનાબેને વોર્ડ નં. 1 માંથી અપક્ષ ફોર્મ ભરી પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી છે.
પોરબંદરમાં વિવિધ જ્ઞાતિ-સમાજમાં રોષ
પોરબંદરમાં ઉમેદવારોની જાહેરાત બાદ બ્રહ્મ સમાજ, લોહાણા, રાજપૂત, કોળી અને વણકર સહિતના વિવિધ સમાજોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જ્ઞાતિવાદ અને જૂના કાર્યકરોની અવગણનાને કારણે ભાજપ કેટલીક બેઠકો પર ઉમેદવારો બદલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.
પાલીતાણામાં કોંગ્રેસના સુપડા સાફ, શહેર પ્રમુખ ભાજપમાં
પાલીતાણામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને પૂર્વ વિપક્ષી નેતા કિરીટ સાગઠિયા ભાજપમાં જોડાયા છે. તેણે કેસરીયો ધારણ કર્યાના ગણતરીના કલાકોમાં વોર્ડ નં. 1માંથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ પણ ભરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્વેની આ ખેંચતાણ સ્પષ્ટ કરે છે કે બંને પક્ષો માટે આંતરિક સંતોષ જાળવવો મુશ્કેલ બની રહ્યો છે. જે નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે તે અપક્ષ તરીકે કે અન્ય પક્ષના ટેકાથી ચૂંટણી મેદાનમાં ઉતરીને પક્ષોના ગણિત બગાડી શકે છે.



