જામનગરના વોર્ડ નં. 4માં ભાજપને ઝટકો : ટિકિટ કપાતાં બે પૂર્વ કોર્પોરેટરો બસપામાં જોડાયા, ચૂંટણી લડશે | Jamnagar’s 2 Two former BJP corporators join BSP after being denied tickets

![]()
Jamnagar BJP : જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા વોર્ડ નં.4માં ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટી દ્વારા ટિકિટ ન મળતા વોર્ડ નં.4ના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ અને જડીબેન સરવૈયાએ ભાજપનો સાથ છોડ્યો છે.
મળતી માહિતી મુજબ ટિકિટ કપાતા બંને નેતાઓમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો, જેના પગલે તેમણે બહુજન સમાજ પાર્ટી (બસપા)માં સત્તાવાર રીતે જોડાયા છે. ગઈકાલે રાત્રે કેટલાક સ્થાનિક કાર્યકરોની હાજરીમાં બસમાં પ્રવેશ મેળવી લીધો હતો.બંને નેતાઓ હવે બસપાની ટિકિટ પર વોર્ડ નં.4માંથી ભાજપ સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. આ પગલાથી વોર્ડમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકીય નિરીક્ષકોના મતે, આ વિકાસ ભાજપ માટે પડકારરૂપ બની શકે છે, કારણ કે બંને નેતાઓનો વોર્ડમાં સારો પ્રભાવ માનવામાં આવે છે. કેશુભાઈના મતે જણાવ્યા અનુસાર આ વોર્ડમાં ભાજપ માટે કપરા ચઢાણ હતા, પરંતુ તેઓએ ખૂબ મહેનત કરીને અહીં ભાજપનો ગઢ બનાવ્યો હતો, હવે તેઓએ ભાજપનો સાથ છોડયો છે, તેથી ભાજપ માટે અહીં કઠિન પરિસ્થિતિનું નિર્માણ થશે. પોતે ‘પેરેગોન ચપ્પલ’ વાળા નેતા બનવા માંગતા નથી, અને વોર્ડ નંબર 4 માં હાથીને ગાંડો કરવો છે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા.



