गुजरात

અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું | ahmedabad dosa death case self destruction angle investigation



Ahmedabad Dosa Death Case: અમદાવાદમાં ઢોંસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે નવો વળાંક આવી રહ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની આ ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. મૃતક બાળકીઓના પિતાને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતા ACP કચેરીઓ લઈ જવાયા હતા. જ્યાં તેની દોઢ કલાક સુધી અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ હતી. બીજી તરફ, હોસ્પિટલમાં દાખલ માતાનું પણ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, માતા-પિતાના બ્લડ સેમ્પલમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ અને ઝિંકની વધુ માત્રા મળ્યા બાદ આ મામલો હવે વધુ ગૂંચવણ ભર્યો થઈ ગયો છે. જોકે, પોલીસ હજુ કોઈ અંતિમ નિષ્કર્ષ પર નથી પહોંચી અને એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

બાળકીઓના પિતાની દોઢ કલાક સુધી પૂછપરછ

બંને મૃતક બાળકીઓના પિતા વિમલને શુક્રવારે(10 એપ્રિલ, 2026) બપોરે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સૌપહેલા સાબરમતી સ્થિત ACP એલ ડિવિઝન કચેરીએ અને પછી ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. દોઢ કલાક સુધી PI, ACP અને DCPની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી હતી. આ જોતા એવું લાગી રહ્યું છે કે, ઢોંસાકાંડની તપાસ હવે ગમે તે સમયે પૂરી થઈ શકે છે અને આરોપીની સત્તાવાર ધરપકડ કરવામાં આવી શકે છે. આ સાથે જ આવતીકાલ સવારે અથવા બપોર સુધી FSL રિપોર્ટ પણ જાહેર થઈ શકે છે.

પોલીસના જણાવ્યા મુજબ, પિતાની પૂછપરછ દ્વારા ઘટનાક્રમને સ્પષ્ટ કરવાનો પ્રયાસ થઈ રહી છે, જ્યારે તપાસના અનેક પાસાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં દાખલ માતાનું નિવેદન નોંધાયું

બીજી તરફ માતા ભાવનાબેન હાલ તબીબી નિરીક્ષણ હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. અત્યારે પોલીસની ટીમ દ્વારા હોસ્પિટલે નિવેદન લેવા માટે ટીમ રવાના થઈ છે. આવતીકાલે સવારે મહિલાને ડિસ્ચાર્જ આપવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

પ્રાથમિક પુરાવાઓમાં સંભવિત ઝેરી પદાર્થના સંકેત

અધિકારીઓના જણાવ્યા મુજબ, કેસ હવે વધુ જટિલ બની રહ્યો છે અને પ્રાથમિક પુરાવાઓમાં સંભવિત ઝેરી પદાર્થના સંકેત મળ્યા છે. માતા-પિતા અને બાળકોના બ્લડ સેમ્પલની ફોરેન્સિક તપાસમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ નામના જીવલેણ કીટનાશકની હાજરી મળી હોવાની માહિતી સામે આવી છે. જોકે બાળકોના મોતનું ચોક્કસ કારણ FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: અમદાવાદ ઢોંસાકાંડ: માતાની ડાયરીને કારણે કેસમાં આવી શકે છે નવો વળાંક, 2 બાળકીના મોત મુદ્દે પરિવારનું એક જ રટણ

મૃતક બાળકીઓના દાદા અને પરિવારજનોની પણ પૂછપરછ

બે મૃતક બાળકીના દાદા, એક મહિલા અને બીજા બે પરિજનો ચાંદખેડા પોલીસ સ્ટેશન બેસાડ્યા છે. PI, ACP, DCP અને બીજા બે અધિકારી દ્વારા આરોપી પિતાની એક કલાકથી પૂછપરછ ચાલી રહી છે. મૃતક બાળકીઓની બે ફઈબા જેમાં એક ઓસ્ટ્રેલિયા અને બીજી નાઈઝીરિયાથી અહીં આવી હોવાથી એમની પણ PI, ACP અને DCPની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે. 



Source link

Related Articles

Back to top button