गुजरात

સુરેન્દ્રનગરના લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો 20000ની લાંચ લેતા ઝડપાયા, ACBનો સપાટો | lakhthar mamlatdar office acb trap bribery case surendranagar



Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સરકારી તંત્રના બે કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. લખતર મામલતદાર કચેરીમાં એસીબીએ પાડેલા આ દરોડાને પગલે સમગ્ર મહેસૂલ વિભાગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

શું હતી સમગ્ર ઘટના?

આ કેસની વિગતો મુજબ, એક જાગૃત ખેડૂત પોતાની ખેતીની જમીનની નોંધ સરકારી ચોપડે પ્રમાણિત કરાવવા માટે લખતર મામલતદાર કચેરીના ધક્કા ખાઇ રહ્યા હતા. આ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં ત્યાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જયદીપસિંહ હનુભા પરમારે ખેડૂત પાસે રૂ. 50,000 ની લાંચની માંગણી કરી હતી. એક તરફ સરકાર ખેડૂતોની સુવિધા માટે ઓનલાઇન અને સરળ પ્રક્રિયાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ કચેરીમાં બેઠેલા અધિકારીઓ આ રીતે વહીવટ કરવા માટે ખેડૂતોનું શોષણ કરી રહ્યા હોવાનું આ કિસ્સા પરથી સાબિત થાય છે.

આ પણ વાંચો : ‘પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો’, મધ્યસ્થતા પર ઈઝરાયલી રાજદૂતનું તડ અને ફડ

એસીબીનું છટકું અને ધરપકડ

ખેડૂત લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે સુરેન્દ્રનગર એસીબી પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. એસીબીના અધિકારીઓએ તરત જ એક્શનમાં આવીને લખતર મામલતદાર કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જ્યારે ખેડૂત લાંચની રકમનો પ્રથમ હપ્તો એટલે કે રૂ. 20,000 લઈને કચેરીએ પહોંચ્યા, ત્યારે નાયબ મામલતદારના કહેવાથી આઉટસોર્સિંગ પટ્ટાવાળા કનકસિંહ વાઘુભા ઝાલાએ આ રકમ સ્વીકારી હતી. જેવી પટ્ટાવાળાએ લાંચની રકમ હાથમાં લીધી, કે તરત જ છુપાઈને ઉભેલા એસીબીના અધિકારીઓએ ત્રાટકીને નાયબ મામલતદાર અને પટ્ટાવાળા બંનેને રંગેહાથે ઝડપી લીધા હતા.

ભ્રષ્ટાચારનો ગઢ બનતું સુરેન્દ્રનગર?

સ્થાનિક અહેવાલો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લો જાણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની રહ્યો હોય તેમ એક પછી એક લાંચના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. તાજેતરમાં જ જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જમીન કૌભાંડોમાં જેલની હવા ખાઈ રહ્યા છે, તેમ છતાં નીચલા સ્તરના કર્મચારીઓમાં કાયદાનો કોઈ ડર રહ્યો હોય તેમ જણાતું નથી. હાલમાં એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, જો જનતા જાગૃત બને અને ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવે, તો તંત્રને ચોખ્ખું કરી શકાય છે.



Source link

Related Articles

Back to top button