આયારામ ગયા રામ: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા વડોદરાના નેતાનો 24 કલાકમાં જ થયો મોહભંગ, ફરી ધારણ કર્યો કેસરીયો | vadodara district panchayat member kiransinh rathod returns to bjp within 24 hours

Vadodara News: વડોદરા જિલ્લાના રાજકારણમાં છેલ્લા 24 કલાકમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. રાયકા ગામના નિવાસી અને જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડે પક્ષપલટાની એવી પલટી મારી કે, બંને મુખ્ય પક્ષોના નેતાઓ પણ અચંબિત થઈ ગયા. ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા કિરણસિંહનો માત્ર એક જ દિવસમાં મોહભંગ થયો અને ઘર વાપસી કરીને પુનઃ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.
શું હતો સમગ્ર મામલો?
વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડ છેલ્લા ત્રણ વર્ષથી ભાજપમાં સક્રિય હતા. જોકે, તાજેતરમાં કોંગ્રેસના અગ્રણીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. આરોપ છે કે, કોંગ્રેસ દ્વારા તેમને અનેક પ્રકારની લોભામણી લાલચો, વચનો અને મોટા વાયદાઓ આપવામાં આવ્યા હતા. આ લાલચમાં આવીને કિરણસિંહે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
24 કલાકમાં જ કેમ પલટી મારી?
કોંગ્રેસમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ કિરણસિંહને ભાન થયું કે, તેમને આપવામાં આવેલા વચનો માત્ર ‘હથેળીમાં ચાંદ’ બતાવવા જેવી વાતો હતી. કોંગ્રેસની આંતરિક સ્થિતિ અને વ્યવસ્થા જોઈને તેમનો મોહભંગ થયો હતો. કિરણસિંહે અનુભવ્યું કે જે લાલચો આપવામાં આવી હતી તે ક્યારેય પૂરી થવાની નથી. પરિણામે, એક જ દિવસમાં તેમણે પલટી મારી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને પક્ષ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરી.
આ પણ વાંચો : ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી આકરી આગાહી
ભાજપ જ વિકાસશીલ પાર્ટી
ભાજપમાં પુનઃ જોડાયા બાદ કિરણસિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી જ એક સતત વિકાસશીલ પાર્ટી છે, જે પ્રજાકીય કાર્યોમાં માને છે. ભાજપ નાનામાં નાના માણસની ચિંતા કરે છે. કોંગ્રેસે મને લાલચ આપીને બોલાવ્યો હતો, પરંતુ 24 કલાકમાં જ મને સત્ય સમજાઈ ગયું અને મેં ફરીથી માતૃસંસ્થામાં આવવાનો નિર્ણય કર્યો.
રાજકીય મોરચે ચર્ચા
આ ઘટનાને પગલે વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે એક મજબૂત સદસ્યને પોતાની તરફ ખેંચ્યાના એક જ દિવસમાં ગુમાવવો પડ્યો છે. બીજી તરફ, ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના સક્રિય કાર્યકરોને લાંબો સમય પક્ષથી દૂર રાખવા મુશ્કેલ છે.

ભાવનગરમાં પણ થઇ ચુક્યું છે ‘નેતાજીનું’ હૃદયપરિવર્તન
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજકારણમાં આયા રામ ગયા રામની ભાવના નવી નથી. 06 એપ્રિલ 2026ના રોજ ભાવનગરના સ્થાનિક રાજકારણમાં એક હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપના વડવા ‘બ’ વોર્ડના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલે કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં જ ભાજપનો ત્યાગ કર્યો હતો. જો કે માત્ર 3 જ કલાકમાં તેમની આંખો ઉઘડી ગઇ હતી અને તેઓએ ઘરવાપસી કરી લીધી હતી.
સેજલબેનની સ્પષ્ટતા પણ ચોંકાવનારી
ભાજપમાં પુનઃ જોડાયા બાદ સેજલબેને આક્ષેપ કર્યો હતો કે, તેમને ભોળવીને અને લાલચ આપીને કોંગ્રેસમાં લઈ જવામાં આવ્યા હતા. પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેમણે ત્વરિત ભાજપમાં પરત ફરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. સામે પક્ષે, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ ડર અને દબાણનું રાજકારણ કરી રહી છે. કોંગ્રેસના મતે સેજલબેન સામેથી વિચારધારાથી પ્રેરાઈને આવ્યા હતા, પરંતુ ભાજપે ધાક-ધમકીથી તેમને પરત ખેંચ્યા છે. સોશિયલ મીડિયા પર આ ‘ટૂંકા ગાળાના પક્ષ પલટા’ની ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાક્રમે આગામી ચૂંટણીના જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે.



