સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ | Complaint against 6 usurers at Surendranagar B Division Police Station

![]()
– પોલીસના ‘લોક દરબાર’ કાર્યક્રમ છતાં વ્યાજખોરોનો ત્રાસ યથવત
– રૂપિયા 1.29 કરોડનું મુડી કરતા વધુ વ્યાજ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા વ્યાજખોરીનું દૂષણ ડામવા જનસંપર્ક સભા તેમજ લોકદરબાર સહિતના કાર્યકમો યોજ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે ૦૬ જેટલા વ્યાજખોર શખ્સો દ્વારા કડક ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વઢવાણ ૬૦ ફૂટ રોડ પર રહેતા અને ગોદાવરી ગામ પાસે અંબિકા કોટન ઇન્ડસ્ટ્રીઝ નામથી જીનિંગ ફેક્ટરી ધરાવતા ફરિયાદી ભવ્ય સુરેશભાઈ સુરાણી?એ અંદાજે ૦૭ વર્ષ પહેલા શેર બજાર તેમજ ઇવેન્ટની ટિકિટના ધંધામાં દેણું થઈ જતા રામભાઈ કરપડા પાસેથી રૂ.૫૪.૬૦ લાખ ૧૦ ટકાના વ્યાજે, પ્રફુલસિંહ રાણા પાસેથી રૂ.૨૫ લાખ ૧૦ ટકાના વ્યાજે, અરવિંદભાઈ જાદવ પાસેથી રૂ.૨૭ લાખ ૧૦ ટકાના વ્યાજે, મયુરભાઈ રબારી પાસેથી રૂ.૦૫ લાખ ૧૦ ટકાના વ્યાજે, બાલાસિંગ રાઠોડ પાસેથી રૂ.૦૭ લાખ ૧૦ ટકાના વ્યાજે અને પ્રતાપભાઈ માલા પાસેથી રૂ.૮.૫૦ લાખ રોજના રૂ.૧૫,૦૦૦ લેખે લીધા હતા.
આમ તમામ ૦૬ શખ્સો પાસેથી ફરિયાદીએ ફુલ રૂ.૧,૨૯,૧૦,૦૦૦ (એક કરોડ ઓગણત્રીસ લાખ દશ હજાર) વ્યાજે લીધા હતા. જેનું ફરિયાદી નક્કી થયા મુજબ નિયમિત વ્યાજ ચૂકવતા હતા અને ફરિયાદીએ મૂળ મૂડી કરતા પણ વધુ રકમનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ શખ્સો ફરિયાદીને રૂબરૂ તેમજ ફોન કરીને વ્યાજની અને આપેલ રૂપિયાની કડક ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તેમજ ફરિયાદી પાસે રૂપિયા આપવાની સગવડતા નહી હોવા છતાં બળજબરીપૂર્વક વ્યાજની રકમ કઢાવી લીધી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ સુરેન્દ્રનગર બી-ડીવિઝન પોલીસ મથકે ૦૬ શખ્શો (૧) રામભાઈ વસ્તુભાઈ કરપડા, રહે. ૬૦ ફૂટ રોડ (૨) પ્રફુલસિંહ અર્જુનસિંહ રાણા, રહે. દાળમિલ રોડ (૩) અરવિંદભાઈ વરસંગભાઈ જાદવ, રહે.૬૦ ફૂટ રોડ (૪) મયુરભાઈ ગોવિંદ ભાઈ રબારી, રહે.મુળી (૫) બાલાસિંગ આર.રાઠોડ, રહે. સનફ્લાવર સ્કૂલ પાછળ (હાલ રહે.અમદાવાદ) અને (૬) પ્રતાપભાઈ કાળુભાઈ માલા, રહે.થાન વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



