જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC estate branch became active in implementing the model code of conduct for elections

![]()
Jamnagar Corporation : જામનગર શહેરમાં મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એક્શન મોડમાં આવી ગઈ છે, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ ચાર ટુકડીઓને શહેરના જુદા જુદા વિસ્તારમાં દોડતી કરાવાઈ હતી, અને ચૂંટણી પ્રચારને લગતું સંખ્યાબંધ સાહિત્ય જપ્ત કરી લેવાયું છે, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયું છે. આ કામગીરી અવીરત ચાલુ રખાઇ છે.
જામનગર શહેરમાં આદર્શ આચારસંહિતાનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે ગઈકાલે એસ્ટેટ શાખા દ્વારા ચાર અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભીત ચિત્રો, કિઓસ્ક તથા હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન 306 નંગ ભીત ચિત્રો દૂર કર્યા હતા. જ્યારે 20 નંગ કિઓસ્ક, અને નાની સાઇઝના 12 નંગ જાહેરાતના બોર્ડ, આને 200 નંગ પક્ષના ઝંડા કબજે કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.આ અભિયાનનો મુખ્ય હેતુ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તથા શહેરમાં જાહેર સ્થળો પર અનધિકૃત પ્રચાર સામગ્રી દૂર થાય તે સુનિશ્ચિત કરવો છે. આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.



