गुजरात

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ : ખેડા અને આણંદમાં કમોસમી વરસાદી ઝાપટાં | Monsoon like conditions in the middle of summer: Unseasonal rain showers in Kheda and Anand



– વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે બે સિસ્ટમના સક્રિય થતા ચરોતરના વાતવરણમાં પલટો 

– કુદરતનો મિજાજ બદલાયો : ચરોતરવાસીઓએ એક જ દિવસમાં અનુભવી બેવડી –તુ, ખેડૂતોના જીવ અદ્ધર : ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિ 

નડિયાદ,આણંદ,ડાકોર : રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે બે સિસ્ટમના સક્રિય થતા ચરોતરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માત્ર ૨૦ દિવસના ગાળામાં બીજી વખત હવામાનમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. કેટલાંક વિસ્તારમાં ૩૦ કિમીની ઝડપે પવન ફૂંંકાવવાની સાથે ગાજવીજ સાથે સામાન્ય છાંટા પડયાં હતા. નડિયાદમાં મોડી સાંજે ૫ઃ૩૦ વાગ્યાના સુમારે જ્યારે માતર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. તેમજ યાત્રાધામ ડાકોરમાં પણ ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે આણંદ જિલ્લાના બોરસદ, સોજિત્રા, આંકલાવ પંથકમાં પવન ફૂંંકાવવાની સાથે વરસાદી છાંટા પડયાં હતા. 

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેડા અને આણંદ જિલ્લાના વાતાવરણમાં એકાએક મોટો ફેરફાર જોવા મળ્યો છે. નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી જ અસહ્ય ઉકળાટ અનુભવાતો હતો, પરંતુ સાંજ પડતાની સાથે જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. નડિયાદ શહેરમાં મોડી સાંજે ૫ઃ૩૦ વાગ્યાના અરસામાં વાતાવરણ પલટાયું હતું અને વાદળછાયા આકાશ વચ્ચે હળવા વરસાદી છાંટા પડવાનું શરૂ થયું હતું. ઉનાળાની સિઝન વચ્ચે અચાનક વરસાદી માહોલ સર્જાતા રોડ-રસ્તા ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના માતર તાલુકાના ગ્રામીણ પંથકમાં વરસાદની વધુ અસર જોવા મળી હતી. માતરના ભલાડા, સાયલા અને શેખુપુર સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં અચાનક વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડતા ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભરઉનાળે વરસાદ વરસવાને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને લોકોએ ચોમાસા જેવો અનુભવ કર્યો હતો. આકાશમાં વીજળીના તેજ લિસોટા અને ગડગડાટથી ગ્રામજનોમાં કુતૂહલ સાથે ફાળ પડી હતી.

આણંદ જિલ્લાના બોરસદ, સોજિત્રા, આંકલાવ પંથકમાં ૩૦ કિમી ઝડપે પવન ફૂંંકાવવાની સાથે વરસાદી છાંટા પડયાં હતા. આણંદ, ઉમરેઠ અને પેટલાદમાં ભારે પવન ફૂંકાયો હતો. છાંટા પડતાં માર્ગો ભીંજાયા ગયા હતા. તેમજ મીની વાવાઝોડું ફૂંકાતા આણંદ શહેર તથા આસપાસના કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. કમોસમી વરસાદને કારણે ખેતીવાડી ક્ષેત્રે નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે. ખાસ કરીને ઉનાળુ પાક અને ફળાદીના પાકને આ વરસાદી ઝાપટાંની માઠી અસર પડી શકે છે. ખેડા અને આણંદ જિલ્લાના અન્ય ભાગોમાં પણ સાંજ સુધી વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું હતું અને ઠંડો પવન ફૂંકાતા ગરમીમાં આંશિક રાહત મળી હતી. જોકે, આ પ્રકારે બદલાયેલી –તુને કારણે મિશ્ર વાતાવરણ ઊભું થયું છે, જે રોગચાળાને પણ આમંત્રણ આપી શકે છે. આ કમોસમી વરસાદ ખેડૂત માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે. હાલ ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે કે અણધાર્યા માવઠાંના કારણે મહેનત પર પાણી ફરી વળશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button