વડોદરામાં હનુમાન જયંતિ પ્રસંગે શનિદેવ અને દાદાના મંદિરોમાં ભક્તજનોનું ઘોડાપૂર | Devotees throng hanuman temples in Vadodara on the occasion of Hanuman Jayanti

![]()
Vadodara Hanuman Jayanti : ચૈત્ર સુદ પૂનમ, આજે હનુમાન જયંતી નિમિત્તે ગુરુવારે રોકડનાથ, ભીડભંજન હનુમાન જેવા પૌરાણિક મંદિરો સહિત શહેરના તમામ હનુમાનજી મંદિરોએ આજે સવારથી જ હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હોમાત્મક પાઠ, તથા રામનામની ધૂન સતત જારી રહી હતી. જ્યારે બીજી બાજુ શનિદેવ અને હનુમાન દાદાના ભક્તો વહેલી સવારથી જ દાદાના દર્શનાર્થે લાંબી લાઈનો લગાવીને પ્રત્યક્ષ દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા.
દેવાધિદેવ મહાદેવજીના 11મા રુદ્ર અવતાર અને શ્રીરામ ભક્ત હનુમાન દાદા નો આજે પ્રાગટ્ય ઉત્સવ વહેલી સવારથી જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. શહેરના તમામ હનુમાનજી મંદિરોમાં આજે જપ તપ હનુમાન ચાલીસા સુંદરકાંડ હોમાત્મા કાવાન સાથે શ્રદ્ધાભેર દાદાના જન્મોત્સવની ઉજવણી વાતાવરણમાં શરૂ થઈ હતી. પૌરાણિક હનુમાનજી મંદિરો સહિત નાના-મોટા તમામ મંદિરો રોશની અને ફૂલોથી સુશોભિત થઈ રહ્યા છે. કળિયુગના હાજરાહજૂર દેવને સાત ચિરંજીવીમાં સમાવિષ્ટ હનુમાન દાદાની ભક્તિ કરવાથી સંકટોનો નાશ થતો હોવાની પણ ભક્તોમાં અનેરી શ્રદ્ધા છે. દાદાના અનેક મંદિરોમાં આજે સમી સાંજે ભંડારાનું પણ આયોજન કરાયું છે. દાદા સંકટમોચક તરીકે પણ ઓળખાય છે. અતિ પૌરાણિક રોકડનાથ દાદાની ભવ્ય જન્મોત્સવ સવારી વાડી વિસ્તારમાંથી નીકળીને રોકડનાથ મંદિરે પધારશે. દાદાને સુખડીના નૈવેદ્ય અર્પણ કરીને તેમને પ્રિય આંકડાની ફૂલ માળા પણ અર્પણ કરવાથી અનેરૂ પુણ્ય મળતું હોવાની લોકવાયકા છે. આ ઉપરાંત શહેરના નાના-મોટા અનેક શનિ મંદિરોએ પણ વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનો આરંભ થયો હતો. દાદાના ભક્તોની વહેલી સવારથી જ દર્શનાર્થે હનુમાનજી મંદિરોમાં હકડે ઠઠ લાંબી લાઈનો લાગી હતી. જોકે પૌરાણિક રોકડનાથ દાદા, સહિત ભીડભંજન હનુમાન મંદિરો સહિત શનિ મંદિરોએ પણ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા.



