માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad madhupura murder accused vandalizes victims car on parole

![]()
Ahmedabad News: શહેરના માધુપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઊડાવતી ઘટના સામે આવી છે. બે વર્ષ પહેલા જે પરિવારના દીકરાની હત્યા કરવામાં આવી હતી, તે જ પરિવારને નિશાન બનાવી હત્યાના મુખ્ય આરોપીએ જેલમાંથી બહાર આવતાની સાથે જ આતંક મચાવ્યો છે. જૂની અદાવતનો બદલો લેવા આરોપીએ પોતાના સાગરિતો સાથે મળી પીડિત પરિવારની કારમાં ભારે તોડફોડ કરી છે.
હત્યાનો આરોપી પેરોલ પર બહાર આવી બન્યો બેફામ
માધુપુરા વેપાર ભવન પાસે રહેતા જૈમીન ઠાકોરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તોડફોડ કરનારો મુખ્ય સૂત્રધાર કરણ રાજપૂત છે. કરણ અગાઉ આ જ પરિવારના એક યુવકની હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં બંધ હતો અને હાલમાં જ તે પેરોલ પર મુક્ત થયો છે. જેલમાંથી બહાર આવતા જ તેણે ફરીથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો છે.
મધરાતે પાઇપ અને દંડા વડે હુમલો
ઘટનાની વિગત મુજબ, ગત 31મી માર્ચની રાત્રે જૈમીનનો પરિવાર ખાટુશ્યામ મંદિરેથી દર્શન કરીને પરત ફર્યો હતો. મોડી રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો કરણ રાજપૂત, રાજ ઠાકોર અને દીપક ઠાકોરે જૈમીનના ઘરની બહાર પાર્ક કરેલી કાર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પાઇપ અને દંડા વડે કારના આગળ-પાછળના કાચ અને દરવાજા તોડી નાખ્યા હતા. વહેલી સવારે પરિવારે જ્યારે નુકસાન જોયું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
CCTV ફૂટેજમાં કેદ થયો આતંક
આ સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં આરોપીઓ સ્પષ્ટપણે તોડફોડ કરતા જોઈ શકાય છે. પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે કે, આરોપી પેરોલ પર બહાર હોવા છતાં પોલીસનો કોઈ ડર રાખ્યા વગર સતત ધાક-ધમકી આપી રહ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યા છે. માધુપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ફરાર થયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેલમાંથી છૂટેલા ગુનેગારો દ્વારા ફરીથી આ જ પ્રકારે આતંક મચાવવામાં આવતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.



