गुजरात

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માંગણી | Mahuva At that time Mamlatdar J C Mehta bribery case



Bhavnagar News: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તત્કાલીન મામલતદાર વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિવૃત્ત મામલતદાર જયેશકુમાર ચીમનલાલ મહેતા (જે.સી. મહેતા) એ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક પાસેથી કામ શાંતિથી ચાલવા દેવા માટે લાંચની માંગણી કરી હતી, જે મામલે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગતો મુજબ, ફરિયાદી મહુવા તાલુકાની એક પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુક તરીકે સેવા આપે છે. આ કેન્દ્રમાં કામકાજ દરમિયાન કોઈપણ પ્રકારના વાંધા-વચકા ઉભા ન કરવા અને ફરિયાદીને હેરાન-પરેશાન ન કરવાના બદલામાં તત્કાલીન મામલતદાર જે.સી. મહેતાએ રૂ.50,000ની લાંચની માંગણી કરી હતી.

આરોપીએ લાંચની કુલ રકમ પૈકી રૂ.10,000 ગત તા. 1 એપ્રિલ 2024ના રોજ સ્વીકારી લીધા હતા. બાકીના રૂ.40,000ની ઉઘરાણી કરવામાં આવી હતી. જોકે, એસીબીના છટકા દરમિયાન બાકીની રકમ કોઈ કારણોસર સ્વીકારાઈ નહોતી, પરંતુ પ્રાથમિક તપાસ અને લાંચની માંગણીના પુરાવાઓને આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યસેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અંગત આર્થિક લાભ મેળવવા માટે કરવામાં આવેલું આ ગુનાહિત કૃત્ય એસીબીની તપાસમાં સામે આવ્યું છે.

આ સમગ્ર ઓપરેશન ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. સગર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસનું સુપરવિઝન મદદનીશ નિયામક એસ.એન. બારોટ (એસીબી ભાવનગર એકમ) અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાધેલા (નાયબ નિયામક, એસીબી રાજકોટ વિભાગ) દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં નિવૃત્ત મામલતદાર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button