વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Benefits as Fake Pension Accounts Surface in Gujarat Welfare Schemes

![]()
Government Schemes Gujarat: રાજકીય નેતાઓ પોતાની રાજકીય પ્રતિષ્ઠા વધારવા ધૂમ પ્રચાર કરી રહ્યાં છે. લાખોનો ધૂમાડો કરી રહ્યાં છે, ખાનગી પીઆર એજન્સી ભાડે કરીને લાખોનો ખર્ચ કરાઈ રહ્યો છે, પરંતુ લોકોને લાભ મળે તે માટે સરકારી યોજનાનું માર્કેટિંગ કરવામાં રસ નથી.
વિધવા બહેનોને લાભ મળી શક્યો નહીં
છેવાડાના માનવીને લાભ મળે તેવી સુફિયાણી વાતો કરવામાં આવે છે, પરંતુ ખુદ સરકાર જ સરકારી યોજનાનો પ્રચાર-પ્રસાર કરી નથી પરિણામે લોકોને હજુય સરકારી યોજના વિશે ખબર જ નથી. કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, 28 હજાર વિધવા બહેનોને રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના વિશે ખબર જ ન હતી જેના લીધે તેમણે અરજી કરી નહીં. આ કારણોસર આ વિધવા બહેનોને 55 કરોડ રૂપિયા જેટલી માતબરનો લાભ મળી શક્યો નહીં.
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પરિવાર લાભયોજના અમલમાં મૂકી છે. આ યોજનામાં જો કુંટુંબનું ભરણપોષણ કરતાં વ્યક્તિનુ આસ્મિક મોત થાય, 60 વર્ષથી ઓછી વય હોય તો તે પરિવારની વિધવા બહેનને એક વખત 20 હજાર રૂપિયાની સહાય મળે છે. આ યોજનાનો લાભમેળવવા માટે નિયત સમય મર્યાદામાં અરજી કરવાની હોય છે.
1827 નકલી પેન્શન એકાઉન્ટ થકી સહાય ચૂકવાઈ
વિવિધ સરકારી યોજનામાં સબસિડી સહિત અન્ય નાણાંકીય સહાય લાભાર્થીને સીધી બેન્કના ખાતામાં મળે તે હેતુથી ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરમાં ય લોલંલોલ ચાલી રહ્યું છે. કેગના રિપોર્ટમાં એવું બહાર આવ્યું કે, રાજ્યના અમદાવાદ, બનાશકાંઠા, ડાંગ, ભરૂચ, રાજકોટ સહિત નવેક જિલ્લામાં ડોક્યુમેન્ટની તપાસ કરતાં લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ પણ નકલી હતાં. ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા યોજના, ઇન્દીરા ગાંધી વિધવા સહાય યોજનામાં કુલ મળીને 1827 નકલી પેન્શન એકાઉન્ટમાં સહાય ચૂકવાઈ હતી.
મૃત્યુ-ગરીબી પાર કરી લીધાં પછી પણ રૂપિયા 32.60 સહાય ચૂકવાઈ
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા યોજના, ઇન્દીરા ગાંધી વિધવા સહાય યોજનામાં લાભાર્થીની હયાતીની ચકાસણી જ કરાઈ નહીં પરિણામે એવું થયું કે, ઘણાં લાભાર્થીનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કેટલાંક લાભાર્થીઓએ ગરીબી રેખા પાર કરી લીધા પછી પણ સહાય ચૂકવવામાં આવી હતી. 2017થી માંડી 2021 સુધી 1072 રદ કરાયેલાં લાભાર્થીઓને 32.60 લાખ રૂપિયા ચૂકવાયા હતાં. આ ઉપરાંત 170 લાભાર્થીઓને પેન્શન સહાય આપવાનું બંધ કરવા નક્કી કરાયું છતાં 7 લાખ રૂપિયાની સહાય અપાઈ હતી. આમ, ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરમાં ય લોલંલોલ ચાલ્યું હતું.


