गुजरात

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસના આકરા પ્રહાર | Umreth by election Harshad Govindbhai Parmar bjp Ticket Congress MLA Shailesh Parmar



Umreth by-election: આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થવાની શક્યતા છે. ત્યારે કોંગ્રેસે ભાજપ સરકાર સામે વ્યૂહનીતિ બનાવી છે. કોંગ્રેસ નેતા અને MLA શૈલેષ પરમારે ગુજરાત સમાચાર ડિજિટલ સાથેની વાતચીતમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રથી લઈને સ્થાનિક સ્તર સુધી સત્તામાં હોવા છતાં ભાજપ પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સદંતર નિષ્ફળ રહી છે અને માત્ર ભ્રષ્ટાચારમાં જ વ્યસ્ત છે. આ વખતે કોંગ્રેસ કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વિના પોતાના બળ પર ચૂંટણી લડશે, જેમાં મોટા પ્રમાણમાં યુવા ઉમેદવારોને તક આપીને પરિવર્તન લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ભાજપની પરિવારવાદ અંગેની બેવડી નીતિને ખુલ્લી પાડતા કોંગ્રેસે દાવો કર્યો છે કે જનતા આ વખતે પરિવર્તન ઈચ્છી રહી છે અને સીધો મુકાબલો માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે.

સવાલ નંબર 1: આગામી બે-ત્રણ દિવસમાં ચૂંટણીની જાહેરાત થવાની છે, તો કોંગ્રેસ કઈ રણનીતિ સાથે આગળ વધશે? 

MLA શૈલેષ પરમારે કહ્યું કે, ‘ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો ફોડવો છે. ભાજપનું કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક તમામ ક્ષેત્રોમાં શાસન હોવા છતાં તેઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયા છે અને ભ્રષ્ટાચાર દ્વારા માત્ર સત્તા ભોગવી છે. અમે અમદાવાદ શહેરની ચાર્જશીટ રજૂ કરી છે અને આગામી દિવસોમાં મેનિફેસ્ટો પણ લાવીશું. કોંગ્રેસ પાર્ટી પોતાના બળ પર મજબૂતાઈથી ચૂંટણી લડશે અને વિજય મેળવીને તિરંગો લહેરાવશે.’

સવાલ નંબર 2: કોંગ્રેસ દ્વારા યુવાઓને ટિકિટ આપવાની વાત કરાઈ છે, તો આ વખતે ખરેખર કેટલા ટકા યુવાઓને ટિકિટ આપવામાં આવશે?

‘અમે ભૂતકાળમાં પણ યુવાનોને પુષ્કળ પ્રમાણમાં ટિકિટો આપી છે. અમદાવાદ શહેર સમિતિ અને પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેરાત કરાયા બાદ આ વખતે પણ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓએ પોતાના બાયોડેટા અને રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે. જેવી ચૂંટણી જાહેર થશે, તમે જોશો કે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં યુવાઓને ચૂંટણી લડવા માટેના આદેશો કરવામાં આવશે.’

સવાલ નંબર 3: ભાજપે ઉમરેઠમાં દિવંગત નેતાના દીકરાને ટિકિટ આપી છે તે અંગે શું કહેશો?

‘ભારતીય જનતા પાર્ટી બે મોઢાની વાત કરી રહી છે અને હવે તે ખુલ્લી પડી ગઈ છે. જે લોકો કોંગ્રેસને પરિવારવાદ માટે વગોવે છે, તેમણે પોતે ઉમરેઠમાં ગોવિંદભાઈના દીકરાને ટિકિટ આપી છે, શું એ પરિવારવાદ નથી? મને કોઈને ટિકિટ આપવા સામે વિરોધ નથી, પણ ભાજપની આ બેવડી નીતિ સામે વિરોધ છે. અમે ઉમરેઠ માટે નિરીક્ષકો નિમ્યા છે જે પ્રદેશ પ્રમુખ અને હાઈકમાન્ડને રિપોર્ટ સોંપશે, ત્યારબાદ ટૂંક સમયમાં ત્યાંના ઉમેદવારનું નામ જાહેર કરાશે.’

આ પણ વાંચો: વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ છે તંત્ર?

સવાલ નંબર 4: આગામી ચૂંટણીમાં ત્રણ પક્ષો મેદાનમાં હશે, તો કોંગ્રેસનું પરફોર્મન્સ કેવું રહેશે? 

‘આ ચૂંટણીમાં સીધો મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે. આમ આદમી પાર્ટી હોય કે એઆઈએમઆઈએમ, આ પક્ષો ભાજપના પૈસા અને તેમની દેખરેખ હેઠળ ચૂંટણી લડતા હોય છે. કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે ચૂંટણી લડે છે, એટલે ખરી ફાઈટ અમારી અને ભાજપ વચ્ચે જ છે.’



Source link

Related Articles

Back to top button