गुजरात

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack for extortion incident turns into murder



પી.આર. આંગડિયા પેઢીના સંચાલક સહિત બેની અટકાયત

ન્યાયની માંગ સાથે આક્રોશિત કોળી સમાજ દ્વારા રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન, આરોપીઓનું સરઘસ કાઢવા પણ માંગ

ધોરાજી: ધોરાજીમાં જામકંડોરણા રોડ પર આઈ.ટી.આઈ.ની સામે ગત રાત્રીના બાકી રહેતા રૂપિયાની ઉઘરાણીના મામલે થયેલી તકરારમાં આંગડિયા પેઢીના માલિક સહિતનાઓએ હુમલો કરી યુવાનને કુહાડાના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ કરી હતી. જયારે બીજી બાજુ આ બનાવના પગલે કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સમાજના લોકોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

બનાવ અંગે ધોરાજીના ગણેશનગરમાં રહેતા અને ધોરાજી યાર્ડમાં શાકભાજીના એજન્ટ તરીકે કામકાજ કરતા પરેશ ઉર્ફે કુંદનભાઈ કનુભાઈ બારૈયા (ઉ.વ.૪પ)એ ફરિયાદ નોંધાવી છે કે તેઓ શાકભાજીના રૂપિયાની લેવડદેવડ જેતપુર રોડ પર આવેલી પી.આર. આંગડિયા પેઢી મારફતે કરતા હતા, તેમણે આંગડિયા પેઢીમાં ૪૦૮૦૦૦ રૂા. દેવાના હતા એ પૈકી ૭૦ હજાર જમા કરાવ્યા હતા, જયારે ૩.૩૮ લાખ આપવાના બાકી હતા તેથી પી આર આંગડિયા પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવાએ યાર્ડ ખાતે આવેલી તેમની પેઢીએ આવી બાકી રૂપિયાની ઉઘરાણી કરી હતી. બાદમાં પેઢીએ ભગીરથસિંહ અને મહીદીપસિંહ જેઠવા આવ્યા હતા અને પેઢીએ હાજર તેમના પુત્ર વિવક પાસે રૂપિયાની ઉઘરાણી કરી અને રકમ આપી દેજો નહીંતર તને અને તારા પપ્પાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. 

ગત રાત્રીના પરેશભાઈનો પુત્ર વિવેક જામકંડોરણા રોડ પર આઈટીઆઈ સામે વોકિંગ કરતો હતો ત્યારે ભગીરથસિંહ જેઠવા, મહીદીપસિંહ જેઠવા તથા અન્ય બે શખ્સો સાથે કારમાં આવી અને ઝગડો કર્યો હતો. તેથી વિવેકે તેમને ફોન કરતા તેઓ ઉપરાંત તેમના સગાભાઈ કેશવભાઈ તથા કૌટુંબિક ભત્રીજો હિમાલય હરેશભાઈ બારૈયા ત્યાં પહોંચતા ઉશ્કેરાયેલા ભગીરથસિંહે કારમાંથી કુહાડો કાઢી અને હિમાલયના ગળાના ભાગે ઘા ઝીંકયો હતો તથા મહીદીપસિંહ જેઠવાએ લાકડી વડે અન્યો પર હુમલો કર્યો હતો. બાદમાં બન્ને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા હિમાલયને સારવાર માટે ખસેડાતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓ ભગીરથસિંહ તથા મહીદીપસિંહની ધરપકડ કરી હતી. 

બનાવના પગલે ધોરાજીના કોળી સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. સમાજના આગેવાનો, લોકોએ આંબેડકર ચોક ખાતે એકત્ર થઈ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસને આવેદનપત્ર પાઠવી કેસની યોગ્ય તપાસ કરી અને તમામ આરોપીઓની ધરપકડ કરવા તથા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરી હતી અને જો ન્યાય નહીં મળે તો આંદોલનની ચિમકી આપી હતી.



Source link

Related Articles

Back to top button