વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk adulteration scam government report vs ground reality

![]()
Junagadh News: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધનો કાળો કારોબાર ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એક તરફ પોલીસ અને જનતા દ્વારા દૂધના શંકાસ્પદ ટેન્કરો પકડાઈ રહ્યા છે, તો બીજી તરફ સરકારના આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલા સરકારી રિપોર્ટ મુજબ, રાજ્યભરમાંથી લેવાયેલા 11,684 નમૂનાઓમાંથી એક પણ નમૂનો હાનિકારક સાબિત થયો નથી. આ ફૂલગુલાબી રિપોર્ટે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
સૌરાષ્ટ્રના જૂનાગઢ, જેતપુર અને ગીર-સોમનાથ જેવા વિસ્તારોમાં બેરોકટોક ડુપ્લીકેટ દૂધનો વેપાર ધમધમી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના આગેવાનોએ જેતપુર અને જૂનાગઢમાંથી શંકાસ્પદ દૂધના ટેન્કરો ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે પણ વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સ્થિતિ વચ્ચે સામાન્ય જનતા હવે દૂધ પીતા પણ ડરી રહી છે.
ધારાસભ્યની ટકોર ભગવાનનો ડર રાખો
નકલી દૂધની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ખુદ સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્યએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. જૂનાગઢમાં યોજાયેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં ભાજપના ધારાસભ્યએ અધિકારીઓને આકરા શબ્દોમાં ટકોર કરતા કહ્યું કે, “દૂધમાં થતી ભેળસેળ રોકવા માટે તંત્રના અધિકારીઓ ભગવાનનો ડર રાખે.” બીજી તરફ વિપક્ષી ધારાસભ્યોએ હવે આ મામલે જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો : યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં
સરકારનો દાવો અને જમીની હકીકત
લોકો અને નેતાઓ જ્યારે ભેળસેળની બૂમો પાડી રહ્યા છે, ત્યારે સરકારના સત્તાવાર આંકડા મુજબ સમગ્ર ગુજરાતમાં લેવાયેલા હજારો સેમ્પલ પૈકી એક પણ સેમ્પલમાં કેમિકલયુક્ત કે જોખમી પદાર્થો મળ્યા નથી. આ વિરોધાભાસી સ્થિતિને કારણે લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ડગી રહ્યો છે.
સરકારે ફરી કહ્યું સબ સલામત
ગામડાઓ અને તાલુકા મથકોમાં નકલી દૂધ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ફૂલ્યો-ફાલ્યો છે. તંત્રના ડર વગર અસામાજિક તત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. સરકારના ક્લીન ચિટ રિપોર્ટ સામે વિપક્ષ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, શું સરકાર આ મામલે કોઈ કડક તપાસના આદેશ આપશે કે પછી આ ‘સફેદ ઝેર’નો કારોબાર આમ જ ચાલતો રહેશે?



