गुजरात

ગુજરાતમાં LPGની બૂમરાણ વચ્ચે સરકારને 10,000 ફરિયાદો મળી, 17થી વધુ લોકો સામે ગુનો નોંધાયો | Gujarat Focuses on PNG Connections Amid 10 000 LPG Complaints and Shortage Rumors



PNG Connection In Gujarat: દેશમાં ઈંધણ અને ગેસ પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ગુજરાત સરકારે મહત્ત્વપૂર્ણ પગલા લીધા છે. આજે (28 માર્ચ, 2026) વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્યમાં PNG અને LPG સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરી હતી.જેમાં છેલ્લા પાંચ દિવસથી ગેસ અને ઈંધણની અછત અંગે જે અફવાઓ ફેલાઈ રહી છે તેનાથી નાગરિકોએ દૂર રહેવું જોઈએ. અફવા ફેલાવી ભયનું વાતાવરણ ઊભું કરનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. આ માટે જિલ્લા કલેક્ટરો અને SP ને ખાસ આદેશ આપવામાં આવ્યા છે.

LPG થી PNG તરફ સ્થળાંતર

રાજ્યમાં ગેસ સિલિન્ડરને લગતી અંદાજે 10,000 જેટલી ફરિયાદો સરકારને મળી હતી, જેનું નિરાકરણ લાવવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કાળાબજારી કરનારા 17 થી વધુ લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. ગુજરાત હાલમાં 23 ટકા PNG સપ્લાય સાથે દેશમાં અગ્રેસર છે. હવે સરકારનો લક્ષ્યાંક છે કે, અમદાવાદ જેવા મહાનગરોમાં તમામ કોમર્શિયલ કનેક્શનને PNG માં રૂપાંતરિત કરવામાં આવે. હોસ્પિટલો, શાળાઓ અને અન્ય જાહેર સંસ્થાઓમાં પણ ફરજિયાત PNG કનેક્શન આપવામાં આવશે. નવા PNG કનેક્શન માટેની પ્રક્રિયા ઝડપી બનાવી વધુમાં વધુ પરિવારોને પાઈપલાઈન ગેસ સાથે જોડવામાં આવશે.

નોંધનીય છે કે,આગામી દિવસોમાં અમદાવાદમાં 11,350 નવા PNG કનેક્શન અપાશે. છેલ્લા 10 દિવસમાં જ 12,000થી વધુ PNG અને 300 કોમર્શિયલ કનેક્શન આપવામાં આવ્યા છે. હોસ્પિટલ અને સ્કૂલ જેવી સંસ્થાઓને પ્રથમ અગ્રતા અપાશે.

આ પણ વાંચો: LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર

શ્રમિકો અને ઉદ્યોગો માટે વ્યવસ્થા

રાજ્ય સરકારે તમામ ઉદ્યોગો સાથે પણ બેઠક યોજી છે. ઉદ્યોગ જગતને સૂચના આપવામાં આવી છે કે શ્રમિકોને જમવાની કોઈ તકલીફ ન પડે અને તેમને પગાર વહેલો ચૂકવવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી. આગામી દિવસોમાં જિલ્લા અને મહાનગર સ્તરે પણ બેઠકો યોજી સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં આવશે.

વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત સુરક્ષિત

સરકારે આશ્વાસન આપ્યું છે કે વિશ્વના ઘણાં દેશોમાં ઉર્જા સંકટને કારણે મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના 1.28 કરોડ LPG ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ ટીમ કાર્યરત કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button