નકલી ડોક્ટરોની હવે ખેર નથી! ગુજરાત વિધાનસભામાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પાસ | Gujarat Assembly Passes Clinical Establishment Amendment Bill 2026 to Curb Fake Doctors

![]()
Gandhinagar News : રાજ્યમાં ચાલતી નકલી ડોક્ટરોની હાટડીઓ બંધ કરાવવા તેમજ તબીબી સેવાની ગુણવત્તા જાળવવાના હેતુથી ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક 2026’ સર્વાનુમતે પસાર કરાયું છે.
આ બિલ રજૂ કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, લાયકાત વગર પ્રેક્ટિસ કરતા લેભાગુ તત્ત્વો પર નિયંત્રણ લાવવા માટે આ કાયદો ખૂબ જ જરૂરી હતો. આ નવા સુધારા મુજબ હવે હોસ્પિટલો અને ક્લિનિક્સના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે, જેમાં સરકાર જરૂરિયાત મુજબ જાહેરનામા દ્વારા રજિસ્ટ્રેશનની મુદત નક્કી કરી શકશે. અત્યાર સુધી રાજ્યમાં હજારોની સંખ્યામાં પ્રોવિઝનલ અને કાયમી રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, પરંતુ વહીવટી સરળતા માટે કાયદાની કલમ-9 અને 18માં ફેરફાર કરાયા છે, જેથી વારંવાર કાયદાકીય સુધારા ન કરવા પડે.
શા માટે જરૂરી હતો આ સુધારો?
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2021માં આ કાયદો લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લાયકાત વગરના ‘લેભાગુ’ તત્ત્વો દ્વારા થતી પ્રેક્ટિસ પર નિયંત્રણ લાવવાનો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 41,000 જેટલા કામચલાઉ (પ્રોવિઝનલ) રજિસ્ટ્રેશન થયા છે. 2,000 જેટલા કાયમી રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ચૂક્યા છે. વહીવટી સરળતા રહે અને વારંવાર કાયદામાં સુધારા ન કરવા પડે તે માટે કલમ-9 અને કલમ-18માં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.
નવા સુધારાની મુખ્ય વિશેષતાઓ
રજિસ્ટ્રેશન મુદત જે 30 એપ્રિલ 2026 સુધી જ મર્યાદિત હતી. પરંતુ હવે સરકાર જાહેરનામા દ્વારા ગમે ત્યારે મુદત નક્કી કરી શકશે. પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન જે 12 સપ્ટેમ્બર 2026 પછી બંધ થવાનું હતું. તેમાં સરકાર નક્કી કરે તે મુદત સુધી ચાલુ રાખી શકાશે. વહીવટી પ્રક્રિયા કાયદાકીય મર્યાદાઓને કારણે જટિલ હતી. પરંતુ હવે ગેઝેટ દ્વારા ફેરફાર કરી શકાશે, જેથી પ્રક્રિયા ઝડપી બનશે.
નિયમભંગ કરનાર સામે કડક દંડની જોગવાઈ
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કોઈ ચિકિત્સા સંસ્થા કે હોસ્પિટલ આ નિયમોનું પાલન કરવામાં ચૂક કરશે, તો તેમની સામે કડક પગલાં લેવાશે. જેમાં રૂ. 10 હજારથી રૂ. 5 લાખ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ છે. આ સાથે ગંભીર બેદરકારીના કિસ્સામાં રજિસ્ટ્રેશન રદ કરવાની પણ સત્તા તંત્ર પાસે રહેશે. તો નિયત સમયમર્યાદામાં નોંધણી ન કરાવનાર સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહી થશે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ
દર્દીઓ માટે સુરક્ષાનું કવચ
આ સુધારા પાછળનો અંતિમ ઉદ્દેશ્ય નાગરિકોને છેતરપિંડીથી બચાવવાનો છે. હોસ્પિટલો અને લેબોરેટરીઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન થવાથી દર્દીઓને ખાતરી મળશે કે તેઓ જ્યાં સારવાર લઈ રહ્યા છે તે સંસ્થા સરકારના માપદંડો મુજબ ચાલે છે અને ત્યાં કામ કરતા ડોક્ટરો લાયકાત ધરાવે છે.



