નર્મદા પરિક્રમા: નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ, જાણો નવા નિયમો | narmada parikrama safety rules 2026 district magistrate notification life jacket compulsory

![]()
Uttarvahini Narmada Parikrama: નર્મદા જિલ્લામાં પવિત્ર ‘ઉત્તરવાહિની પંચકોષી નર્મદા પરિક્રમા’નો પ્રારંભ ગત ૧૯મી માર્ચથી થઈ ચૂક્યો છે. આ આસ્થાના પર્વમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દેશના અન્ય ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા નર્મદાના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ અંતર્ગત એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે મુજબ પરિક્રમાર્થીઓએ નદી પાર કરતી વખતે નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સુરક્ષા નિયમો અને દંડની જોગવાઈ
• મુસાફરો માટે: નાવડીમાં બેસનાર દરેક મુસાફરે ફરજિયાતપણે લાઇફ જેકેટ પહેરવાનું રહેશે. જે મુસાફર લાઈફ જેકેટ નહીં પહેરે તેમની પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 100નો દંડ વસૂલવામાં આવશે.
• ઇજારદારો માટે: જો નાવડીના ઇજારદાર (ઓપરેટર) દ્વારા લાઈફ જેકેટ પૂરા પાડવામાં કે પહેરાવવામાં કોઈ પણ પ્રકારની ચૂક થશે, તો તેમની પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવશે.
• જાગૃતિ: આ નિયમો અંગેના જરૂરી બોર્ડ અને બેનરો લગાવવાની જવાબદારી સંબંધિત ઇજારદારે નિભાવવાની રહેશે.
• અમલીકરણ અને જવાબદારી: વહીવટી તંત્રએ આ નિયમોના અમલ માટે અલગ-અલગ વિભાગોને જવાબદારી સોંપી છે:
• પોલીસ વિભાગ: મુસાફરો પાસેથી દંડ વસૂલવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે.
• માર્ગ અને મકાન વિભાગ (પંચાયત): ઇજારદારો પાસેથી નિયત દંડ વસૂલવાની જવાબદારી કાર્યપાલક ઈજનેરશ્રી, પંચાયત (મા.મ.) વિભાગ, રાજપીપળાની રહેશે.
આ જાહેરનામું 18 એપ્રિલ 2026ના રોજ બપોરે 12:00 કલાક સુધી અમલમાં રહેશે. જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ 223 મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
વહીવટી તંત્ર દ્વારા તમામ પરિક્રમાર્થીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની સુરક્ષા માટે લાઈફ જેકેટનો ઉપયોગ કરે અને વહીવટી તંત્રને સહકાર આપે.



