રાજકોટમાં ઘરમાં ઘુસી છરીનાં ઘા ઝીંકી કિશોરનાં આંતરડા બહાર કાઢી નાખ્યા | Teenager’s intestines removed after stabbing him in Rajkot house

![]()
ભગવતીપરામાં રહેતા 2 શખ્સો સામે ફરિયાદ : 6 મહિના પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો : બંને આરોપીઓ સકંજામાં
રાજકોટ, : ભગવતીપરા શેરી નં. 11માં રહેતા કરણ રાજુભાઇ ભોજૈયા (ઉ.વ. 17) ઉપર ગઇકાલે રાત્રે ઘરમાં ઘુસી બે શખ્સોએ છરી વડે હુમલો કરી તેના આંતરડા બહાર કાઢી નાખ્યાં હતા. બી.ડિવિઝન પોલીસે ખૂનની કોશીષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને સકંજામાં લીધા હતા.
આ અંગે કરણનાં પિતા રાજુભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે જ્યુબેલી ચોકમાં ફૂલ વેંચે છે. સંતાનમાં એક પુત્રી છે. જે પરિણીત છે. બીજો પુત્ર આયુષ મારામારીના ગુનામાં જેલમાં છે. સૌથી નાનો પુત્ર કરણ જ્યુબેલી ચોકમાં ચાની હોટલમાં મજૂરી કરે છે.
ગઇકાલે રાત્રે ઘરે હતા ત્યારે જોરજોરથી દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો હતો. તેની પત્નીએ દરવાજો ખોલતા ભગવતીપરામાં જ રહેતો જાવીદ ઉર્ફે જાવલો અને અલ્ફાઝ છરી લઇ ઉભા હતા. બંને આરોપીઓએ ઘરમાં ઘુસી તેના પુત્ર કરણને છરીના ઘા ઝીંકી દીધા હતા.
બંને આરોપીઓને પકડવા પાછળ દોડયા હતા. તે વખતે બંને આરોપીઓએ તેના દૂરના મામા માવજીભાઇને પણ પીઠનાં ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. દેકારો થતા પાડોશીઓ ભેગા થઇ ગયા હતા. પાડોશમાં રહેતા દૂરના મામા શ્યામજીભાઇ ઉધરેજીયાએ જણાવ્યું કે બંને આરોપીઓ શરૂઆતમાં તેના ઘરે આવ્યા હતા. તેમના હાથમાં હથિયારો જોઇ તેણે દરવાજો બંધ કરી દીધો હતો. તે વખતે આરોપીઓએ જોરજોરથી દરવાજો ખટખટાવ્યો હતો. એટલું જ નહીં બેફામ ગાળો પણ ભાંડી હતી.
હુમલાંમાં ઘાયલ કરણનાં પેટનાં ભાગે છરીનો ઊંડો ઘા વાગતા આતરડું બહાર નીકળી ગયું હતું. 108માં તેને સિવિલ લઇ ગયા હતા. જ્યાં જઇ બી.ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે જણાવ્યું કે, કરણનાં ભાઇ સાથે છએક મહિના પહેલાં જાવીદ ઉર્ફે જાવલાને માથાકુટ થતાં તેને મારકુટ કરાઇ હતી. જેનો ખાર રાખી ગઇકાલે તેણે ખૂની હુમલો કર્યો હતો. બંને આરોપીઓને સકંજામાં લઇ પોલીસે તપાસ આગળ ધપાવી છે.


