૩૧૯ બોર બંધ કરવાનુ આયોજન પડતુ મુકવુ પડયું, અમદાવાદના ૧૩ વોર્ડમાં છેવાડાના ભાગ સુધી પાણી પહોચતુ જ નથી | Plans to close 319 boreholes had to be shelved

![]()
અમદાવાદ,શનિવાર,21
માર્ચ,2026
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન રોજ ૧૭૨૫ મિલિયન લીટર
પાણી શહેરીજનો સુધી પહોંચાડે છે.બીજી તરફ
એક નરવી વાસ્તવિકતા એ છે કે,
શહેરના ૧૩ વોર્ડમાં પાણી પહોંચાડવા
માટે નેટવર્કનો અભાવ હોવાના કારણે વિવિધ વોર્ડમાં ચલાવવામા આવતા ૩૧૯ બોર બંધ
કરવાનુ આયોજન પડતુ મુકવાની તંત્રને ફરજ પડી છે. કોર્પોરેશને તેના જ રીપોર્ટમાં આ
બાબતનો સ્વીકાર કર્યો છે.વર્ષ-૨૦૨૪-૨૫માં રુપિયા ૫૪૪.૯૪ કરોડ કોર્પોરેશને શહેરમા
નવા ઉમેરાયેલા વોર્ડ વિસ્તારોમાં વોટર સપ્લાય ઈન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક મજબૂત કરવા
પાછળ ખર્ચ કર્યા પછી આ સ્થિતિ છે.
શહેરના ખાડીયા વોર્ડમાં રાજા મહેતાની પોળ, પતાસાપોળ,બાલાહનુમાન,સાંકડીશેરી
ઉપરાંત કટકીયા વાડ તથા પાંચકુવા દરવાજા આસપાસના વિસ્તારમાં ઘણાં વર્ષોથી છેવાડાના
વિસ્તારો સુધી પાણી પહોંચતુ નહીં હોવાથી આ
તમામ વિસ્તારમા રહેતા રહીશોને પાણી પહોંચાડવા બોર ચલાવવા પડે છે.કોર્પોરેશનનો
સપ્લાય શરુ થાય તે સાથે જે તે વિસ્તારના બોર ચાલુ કરવામા આવે છે.જેથી પાણીને ધકકો
વાગવાથી તે જે તે વોર્ડના છેવાડાના ભાગ સુધી રહેતા લોકો સુધી પહોંચી શકે.તત્કાલીન
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં ચલાવવામા આવતા બોર બંધ કરી પાણી
નેટવર્કથી આપવા સુચના આપી હતી. જે પછી કોર્પોરેશન તરફથી સર્વે કરવામા આવ્યો
હતો.જેમાં ૪૮ વોર્ડમાં કુલ મળીને ૩૧૯ બોર દ્વારા પાણીનો પુરક સપ્લાય આપવામા આવતો
હોવાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. ઉપરાંત કયા કારણથી જે તે વિસ્તારમાં બોર ચલાવવા
પડે છે તેનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે.જે તે વોર્ડના છેવાડાના ભાગ સુધી પાણી
પુરતા પ્રેશરથી પહોંચાડવા અને બોરથી પાણી સપ્લાય આપવાનુ બંધ કરવા માટે પહેલા તો જે
વિસ્તારમાં પાણી પહોંચાડવા નેટવર્ક નથી ત્યાં નેટવર્ક સ્થાપવુ પડે.જેને માટે ઘણી
મોટી રકમનો ખર્ચ કરવો પડે તેમજ સમય પણ ઘણો જાય એમ હોવાથી ૩૧૯ બોર બંધ નહીં કરવા
પુરી થયેલી ટર્મ પહેલા પાણી સમિતિમાં નિર્ણય કરવો પડયો.
૧૩ વોર્ડ કે જયાં છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચતુ નથી
ઈન્ડિયા કોલોની,
કુબેરનગર, નરોડા, સૈજપુર, સરસપુર-રખિયાલ, સરદારનગર, ઠકકરનગર, નિકોલ, કઠવાડા, રામોલ-હાથીજણ, વસ્ત્રાલ, અસારવા અને
મકતમપુરા
શાહવાડીમાં પાંચ
અંડર ગ્રાઉન્ડ ટાંકી ભરવા બોર ચલાવાય છે
વાસણા-શાહવાડીમા ઈ.ડબ્લ્યુ.એસ. કવાટર્સમાં ૪૫ બ્લોક અને
૧૪૫૦ રહેઠાણ છે.આ જગ્યાએ પાંચ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી ભરવા બોર ચલાવવામા આવે
છે.શ્રીનાથ કવાટર્સમાં ૫૭૬ મકાન માટે બોર ચલાવવામા આવે છે.
સુખરામનગર પાણીની ટાંકી ભરવા બોર ચલાવાય છે
સુખરામનગરમા પાણીની ટાંકી ભરવા સુખરામનગર સ્કૂલ બોર ચલાવવામા
આવતો હોવાનો કોર્પોરેશનના રીપોર્ટમાં જ ઘટસ્ફોટ થવા પામ્યો છે.બલોલનગર,રાણીપ વોટર સ્ટેશનથી
છેવાડાના ભાગસુધી પાણી પહોંચતુ નહી હોવાથી ઉંમગ સોસાયટીનો બોર ચલાવાય છે.
પાણીનુ નેટવર્ક ના હોય તેવા કયા વિસ્તાર?
–અસારવા-ચમનપુરામા
ગાયત્રીનગર,પતરાવાળી
ચાલી, કોઠાવાળી
ચાલી આસપાસનો વિસ્તાર
–બહેરામપુરા-ન્યુ
સબરબન,લાંભા-ઈન્દિરાનગર
વિભાગ-૧
–મકતમપુરા-બાકરોલ,ઢોર ડબા, લાલબાગ, વણઝર
–દાણીલીમડા-મીરા
પ્રગતિ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન વિસ્તાર
–ઈન્દ્રપુરી-મહાવીરનગર,નરોડા ફાયર
સ્ટેશન આસપાસનો વિસ્તાર
–કઠવાડા-જુનો-નવો
હાઉસીંગ વિસ્તાર, હુડકો
આસપાસ વિસ્તાર
જાસપુર ખાતે ૨૫૦ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે
ટેન્ડર પ્રક્રીયા
જાસપુર ખાતે નવો વોટર ટ્રીટમેન્ટ
પ્લાન્ટ બનાવવા રાજય સરકારમા રજુઆત કરાઈ
હતી.જે પછી સરકારે ૫૬૩૬૧ ચોરસમીટર જમીન રુપિયા ૧.૮૯ કરોડ ભરાવી અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનને ફાળવી આપતા ૨૫૦ એમ.એલ.ડી.ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
બનાવવા ટેન્ડર પ્રક્રીયા શરુ કરવામા આવી છે.જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી
હાલમાં ૪૪૫ એમ.એલ.ડી.પાણી શુધ્ધ કરીને પશ્ચિમ વિસ્તારના વોટર ડિસ્ટ્રીબ્યુશન
સ્ટેશન સુધી પહોંચાડવામા આવે છે.



