મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than 20 ceramic units in Thane

![]()
– પવન અને માવઠુંના કારણે ઉદ્યોગકારોને પડયા પર પાટુ
– વીજ પુરવઠો ખોરવાતા ઉત્પાદન ઠપ : વૈશ્વિક મંદી વચ્ચે કુદરતી આફત આવતા સ્પેશિયલ પેકેજની માંગ ઉઠી
થાન : સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં આવેલા પલટાએ થાનના સુપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. થાન શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં ત્રાટકેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે અંદાજે ૨૦થી વધુ સિરામિક એકમોના શેડના પતરા હવામાં ઉડી ગયા હતા.
આ કુદરતી આફતના કારણે ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું આથક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પતરા ઉડી જવાથી મશીનરી અને તૈયાર માલને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ જતા કારખાનાઓમાં ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ અને આથક મંદીને કારણે સિરામિક ઉદ્યોગ પહેલેથી જ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આ કુદરતી માર પડતા ઉદ્યોગકારોની હાલત ‘પડયા પર પાટુ’ મારવા જેવી થઈ છે. આથક રીતે પાયમાલ થઈ રહેલા ઉદ્યોગકારોએ હવે સરકાર પાસે આશરો માંગ્યો છે. સ્થાનિક સિરામિક એસોસિએશન અને ઉદ્યોગકારો દ્વારા સરકાર આ નુકસાનીનો સર્વે કરી તાકીદે ખાસ રાહત પેકેજ જાહેર કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.



