હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ | Himmatnagar Jan Seva Kendra Scam Operator Arrested for Bogus Aadhaar card and Certificates

![]()
Himmatnagar Jan Seva Kendra Scam: સાબરકાંઠાના હિંમતનગર જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સમગ્ર મામલે અલગ-અલગ સર્ટિફિકેટ બનાવતા જનસેવા કેન્દ્રના ઓપરેટર અને ખાનગી કોમન સર્વિસ સેન્ટ(CSC)ના સંચાલકને પોલીસે ઝડપી પાડ્યા છે. અત્યાર સુધી અનેક બોગસ સર્ટિફિકેટ, જન્મ-જાતિ દાખલા અને આધારકાર્ડમાં છેડછાડ કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી છે. સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલાં શખસોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
હિંમતનગરના બહુમાળી ભવન કમ્પાઉન્ડમાં આવેલા જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ તેમજ જન્મના દાખલા, જાતિના દાખલા, લિવિંગ સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજોમાં છેડછાડ કરી બોગસ સર્ટિફિકેટ બનાવવાને મામલે સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે જનસેવા કેન્દ્રના ઓપરેટર ચંદ્રકેતુ પ્રજાપતિ અને ખાનગી CSCના સંચાલક કિશોર પ્રજાપતિની ધરપકડ કરી છે.
CSC સંચાલક સહિત 2ની ધરપકડ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દસ્તાવેજોમાં છેડછાડ કરનાર બંને વ્યક્તિઓ મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કાનો પણ ઉપયોગ કરતા હતા. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બંને શખસોને કોર્ટમાં રજૂ કર્યા પછી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની કામગીરી પોલીસે હાથ ધરી છે.
બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં અત્યાર સુધીમાં કેટલા લોકોના સર્ટિફિકેટ તેમજ આધાર કાર્ડમાં ફેરફાર કર્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જ કોઈપણ સરકારી યોજના અથવા તો સરકારી નોકરી મેળવવા હેતુ બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.


