મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યું! ભારતે કહ્યું- હવે ફેંસલો કોર્ટમાં | Ukraine Nationals Arrested in Mizoram: NIA Probe Russia Allegations and India’s Response

![]()
NIA Arrest Ukraine Citizens Case : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મિઝોરમમાં ગેરકાયદે ઘૂસવા અને ગેરકાયદે પ્રવત્તિમાં સામેલ હોવા મામલે 17 માર્ચે યુક્રેનના છ અને અમેરિકાના એક નાગરિકની ધરપકડ કરી હતી. આ શંકાસ્પદોની દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી અટકાયત કરાઈ હતી. આ મામલે યુક્રેને ગંભીર પ્રતિક્રિયા આપી તેમાં રશિયાની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે. આ નાગરિકો કોઈપણ મંજૂરી લીધા વગર મિઝોરમમાં પ્રવેશ્યા હતા અને તેમના પર ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો પણ આક્ષેપ છે.
રશિયાની સૂચનાથી યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરાઈ : યુક્રેનનો આક્ષેપ
ભારતમાં યુક્રેનના છ નાગરિકોની ધરપકડનો યુક્રેને વિરોધ કર્યો છે. યુક્રેન દૂતાવાસે એક્સ પર એક પ્રેસ રિલીઝ જાહેર કરી કહ્યું છે કે, ‘રશિયાએ સૂચના આપ્યા બાદ ભારતમાં યુક્રેનના છ નાગરિકની ધરપકડ કરાઈ છે. યુક્રેને કોઈપણ પ્રકારના આતંકવાદને પ્રોત્સાહન આપતું નથી. યુક્રેન દર દિવસે રશિયન આતંકનો સામનો કરી રહ્યું છે. આ જ કારણે કારણે અમે તમામ પ્રકારના આતંકવાદ વિરુદ્ધ લડવાના પક્ષમાં છીએ.’
ધરપકડનો મામલો સુનિયોજિત અને રાજકીય પ્રેરિત : યુક્રેન
યુક્રેને યાદ અપાવ્યું છે કે, ભારત અને યુક્રેન તમામ પ્રકારના આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને લડવાની પ્રતિદ્ધતા દર્શાવી છે. પ્રેસ રિલિઝમાં કહેવાયું છે કે, ‘યુક્રેનના છ નાગરિકોની ધરપકડ કરવાની જાહેર સૂચનાઓ અને મીડિયા રિપોર્ટથી એવા સંકેત મળે છે કે, રશિયા દ્વારા ભારતને અપાયેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરાઈ છે. આ મામલે ભારત સ્થિત યુક્રેન દુતાવાસ ચિંતિત છે. ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં થયેલી આ કાર્યવાહી સંકેત આપે છે કે, ધરપકડનો મામલો સુનિયોજિત અને રાજકીય પ્રેરિત છે.’
ત્યાં જવાની મંજૂરી લેવી ફરજિયાત: ભારતનો યુક્રેનને જવાબ
બીજી તરફ આ મામલે ભારતે ગુરુવારે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તારણધીર જયસ્વાલે કહ્યું છે કે, ‘આ વિસ્તારમાં જવા માટે મંજૂરી લેવી જરૂરી છે. તેમની પાસે (યુક્રેનિય નાગિરકો) કોઈપણ વિશેષ મંજૂરી ન હતી. હવે આનો નિર્ણય કોર્ટ કરશે. આ મામલે કોર્ટમાં રજૂ કરાયા બાદ સત્ય સામે આવશે. હું કહેવા માંગું છું કે, જો આ મામલે NIA કોઈ નિવેદન જાહેર કરે તો તેને જુઓ. હું હજું આ કેસની ટેકનિકલ બાબતો જાણતો નથી. જોકે હું એટલું સમજુ છું કે, તે વિસ્તારમાં જવા માટે તેમની પાસે કોઈપણ જરૂરી દસ્તાવેજો ન હતા.’
આ કેસ મામલે વિદેશ મંત્રાલયે શું કહ્યું?
પીટીઆઈના રિપોર્ટ મુજબ, વિદેશ મંત્રાલયના કહેવા મુજબ, મિઝોરમમાં મંજૂરી વગર રહેવા સાથે આ મામલો જોડાયેલો છે. આ મામલો કથિત ગેરકાયદેસર રીતે ભારત અને મ્યાનમારની સરહદ પાર કરવા સાથે પણ જોડાયેલો છે. આ પહેલા મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ વિધાનસભામાં ગંભીર વિગતો આપી હતી કે, અમેરિકા અને બ્રિટન સહિતના વિદેશી નાગરિકો મિઝોરમ થઈને મ્યાનમાર જઈ રહ્યા છે. આ વ્યક્તિઓ આતંકીઓને શસ્ત્ર તાલીમ આપવામાં સામેલ હોવાનું અને તેમાંથી કેટલાક અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ જોડાયા હોવાના અહેવાલો મળ્યા છે.
ડ્રોન સપ્લાય અને આતંકી તાલીમનું નેટવર્ક
ઉલ્લેખનીય છે કે, NIAની તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ, આ આરોપીઓ યુરોપથી ડ્રોનનો મોટો જથ્થો મંગાવી રહ્યા હતા અને મ્યાનમારના એવા બળવાખોર જૂથોને સપ્લાય કરતા હતા જેમને ભારતીય આતંકી સંગઠનોનું સમર્થન છે. આરોપીઓ માન્ય વિઝા પર ભારતમાં પ્રવેશ્યા હતા, પરંતુ મિઝોરમ જેવા સંવેદનશીલ વિસ્તારો માટે જરૂરી ‘પ્રતિબંધિત વિસ્તાર પરમિટ’ (RAP) મેળવી નહોતી. તે સરહદ ઓળંગીને મ્યાનમારમાં ભારત વિરોધી વંશીય જૂથોને મળ્યા હોવાનું પણ ખુલ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે આ ષડયંત્રની ઉંડાઈ, ભંડોળના સ્ત્રોત અને વિદેશી હેન્ડલરો વિશે વધુ માહિતી મેળવવા માટે આરોપીઓની કસ્ટડી 27 માર્ચ સુધી લંબાવી દીધી છે. એજન્સી હાલમાં આરોપીઓના મોબાઈલ ડેટા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સ્કેન કરી રહી છે જેથી ભારતમાં છુપાયેલા તેમના અન્ય સાથીદારો સુધી પહોંચી શકાય.


