ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar on pending issues of Anganwadi workers slogans raised

![]()
જિલ્લાની આંગણવાડી કર્મચારીઓએ રજા રિપોર્ટ ભરી વિરોધ કર્યો
પગાર વધારો, નિવૃતિ વયમર્યાદા સહિતની 12 માંગણી નહીં ઉકેલાતા વિરોધ યથાવત, પ્રશ્ન હલ કરવા ઉગ્ર માંગણી
ભાવનગર: ભાવનગર જિલ્લાની આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્ને રજા રિપોર્ટ ભરી આજે ગુરૂવારે ભાવનગર શહેરમાં સંમેલન બોલાવ્યુ હતુ અને સુત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પડતર પ્રશ્ન હલ કરવા ઉગ્ર માંગણી કરી હતી.
સી.આઈ.ટી.યુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ૨૬ જિલ્લાના ૧૦૬ જેટલા આગેવાનોની બનેલી રાજ્યો કારોબારીની બેઠકમાં નક્કી થયા મુજબ તા. ૧૮, ૧૯ અને ૨૦ માર્ચના રોજ આંગણવાડી કર્મચારીઓ રજા મુકી કામથી અળગા રહેશે. ગઈકાલે બુધવારે અને આજે ગુરૂવારે ભાવનગર જિલ્લાની આંગણવાડી બહેનોએ રજા રિપોર્ટ ભરી વિરોધ કર્યો હતો. આજે ગુરૂવારે ભાવનગર શહેરના મોતીબાગ ખાતે આંગણવાડી બહેનોએ સંમેલન બોલાવ્યુ હતુ, જેમાં બહોળી સંખ્યામાં આંગણવાડીની બહેનો હાજર રહી હતી અને પડતર પ્રશ્ન હલ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવતા વિરોધ નોંધાવ્યો હતો.
આંગણવાડી કર્મચારીઓની ૧૨ જેટલી માગણીઓ ઉકેલાઈ નથી, જેમાં પગાર વધારા, ડિજિટલ કામગીરી માટે ૨૦૨૨ માં આપેલ વચન મુજબ નવા મોબાઇલ આપવા, નિવૃત્તિ વયમર્યાદા ૬૦ કરવી, બાળકોના પોષણ આહાર માટેના દર ૨૦૧૯ માં નક્કી કરાયા બાદ વધારો ન કરાતા તે વધારો કરવા, એવીટી અને એફ આર એસ જેવા એપ્લિકેશન કામ કરતા ન હોય તે બંધ કરવા, બાળકોના કોષોના હારના તેમજ અન્ય તમામ બિલો નિયમિત ચૂકવાય અને તે બહેનોને પોતાના પગારમાંથી ખર્ચ ન પડે તે માટે એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવા સહિતની માંગણીનો સમાવેશ થાય છે. લાંબા સમયથી ગુજરાતની ૧,૦૬,૦૦૦ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો સરકાર સમક્ષ ૨૭ વખત બેઠક યોજીને માગણીનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી ચૂકી છે છતાં યોગ્ય નિર્ણય નહીં આવતા રોષ જોવા મળી રહ્યો છે.



