गुजरात

6 વર્ષથી ગુજરાત સરકારનો વાયદો અધૂરો! દરિયાના ખારા પાણીને મીઠું કરવાના 4 પ્લાન્ટ ઠેબે ચઢ્યાં | Gujarat Desalination Plants Delayed 6 Years On Coastline Cities Still Wait for Potable Water


Gujarat Desalination Plants Delayed: ઈઝરાયલ સહિત અન્ય ખાડીના દેશો દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના ડિસેલીનેશન પ્લાન્ટ પર નિર્ભર છે. ગુજરાતમાં દરિયાકાંઠાના શહેરોમાં ડિસેલીનેશન પ્લાન્ટ બનાવવા રાજ્ય સરકારે નક્કી કર્યું હતું. આ વિસ્તારની જનતાને મીઠું પાણી આપવાનું સરકારે વચન આપ્યું હતું. પણ આ વાતને આજે 6 વર્ષ વીત્યા છે ત્યારે હજુ સરકાર એક ગાણું ગાઈ રહી છે કે, ડિસેલીનેશન પ્લાન્ટનું કામ ચાલુ છે.

ડિસેલીનેશન પ્રોજેક્ટની તૈયારી

ગુજરાતમાં દરિયાકાંઠાના શહેરો-વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે રાજ્ય સરકારે દરિયાનું ખારું પાણીને મીઠું પાણી બનાવવા માટે ડિસેલીનેશન પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો હતો. કચ્છ, દ્વારકા, ભાવનગર અને ગીર સોમનાથમાં ડિસેલીનેશન પ્લાન્ટ શરૂ કરવા આયોજન કરાયું હતું. એટલું જ નહીં, વર્ષ 2020માં શાપુરજી પાલનજી કંપની-મુંબઈ, એક્વાટેક એશિયા પ્રા. લિમિટેડને ડિસેલીનેશન પ્લાન્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

વિધાનસભામાં ઉઠ્યો મુદ્દો: ડિસેલીનેશન પ્લાન્ટની વર્તમાન સ્થિતિ પર ચર્ચા

કચ્છ સહિત ચાર સ્થળોએ ડિસેલીનેશન પ્લાન્ટની શું સ્થિતિ છે તે મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો તો સરકારે એવો ખુલાસો કર્યો કે, ડિસેલીનેશન પ્લાન્ટનું કામ ચાલુ છે. કામ પૂર્ણ થતાં દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ શરૂ કરાશે.

આ પણ વાંચો: ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય આપવામાં સરકારના ઠાગાઠૈયા

મીઠા પાણી માટે હજુ જોવી પડશે રાહ

આ બંને કંપનીને દરિયાનું કેટલું પાણી મીઠું બનાવવા માટે શું દર નક્કી કર્યા છે તે મુદ્દે સરકારનું કહેવું છે કે, કચ્છમાં એક હજાર લિટર માટે રૂ. 44.85, દ્વારકામાં રૂ. 40.70, ભાવનગરમાં રૂ. 47.85 અને ગીર સોમનાથમાં રૂ. 45 નક્કી કરાયા છે. ડિસેલીનેશન પ્લાન્ટનું જે ધીમી ગતિએ કામ ચાલુ છે તે જોતાં લાગી રહ્યું છે કે, કચ્છ, ગીર સોમનાથ, ભાવનગર અને દ્વારકાની જનતાને હજુ મીઠું પાણી પીવા માટે ઘણી રાહ જોવી પડી શકે છે.


6 વર્ષથી ગુજરાત સરકારનો વાયદો અધૂરો! દરિયાના ખારા પાણીને મીઠું કરવાના 4 પ્લાન્ટ ઠેબે ચઢ્યાં 2 - image



Source link

Related Articles

Back to top button