ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાંતિની અપીલ | Love Marriage Row Sparks Violence in Banaskantha Communities Appeal for Calm

Love Marriage Dispute In Gujarat: બનાસકાંઠા જિલ્લાના ઊન ગામમાં બુધવારે (18મી માર્ચ) પ્રેમ લગ્નના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કિંજલ રબારીના કેસ બાદ વકરેલા આ વિવાદમાં બે સમાજના ટોળાઓ સામસામે આવી જતા મોટાપાયે તોડફોડ અને પથ્થરમારો થયો હતો. હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.હવે આ મામલે ચૌધરી સમાજ, રબારી સમાજના આગેવાન અને સાધુ-સંતોના નિવેદનનો સામે આવ્યા છે.
ચૌધરી અને રબારી સમાજના આગેવાનનું નિવેદન
મળતી માહિતી અનુસાર, ઊન ગામમાં 18મી માર્ચના રોજ થયેલી હિંસામાં ચૌધરી અને રબારી સમાજના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ હિંસક અથડામણમાં અંદાજે 20થી 25 જેટલી કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ મામેલ ચૌધરી સમાજના આગેવાન શીતલ ચૌધરીનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘અમે દીકરી લીધા વિના અહીંથી જઈશું નહીં. અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા છતાં અમારા પર હુમલો કરવામાં આવ્યો.’ આ ઉપરાંત તેમણે સમાજના રાજકીય નેતાઓને પણ આ મામલે રસ લેવા વિનંતી કરી છે અને ન્યાયની માંગ કરી છે.

રબારી સમાજના આગેવાનની શાંતિની અપીલ
બીજી તરફ, ઠાકરશી રબારીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ચૌધરી સમાજને ‘શાંત અને સંસ્કારી’ ગણાવીને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આ સંમેલન પાછળ કેટલાક લોકોનું મોટું ષડયંત્ર હોઈ શકે છે. યુવાનોએ કોઈની ઉશ્કેરણીમાં આવવું જોઈએ નહીં અને વડીલોના નિર્ણયને માન્ય રાખવો જોઈએ.
સાધુ-સંતોએ બંને સમાજને શાંતિ જાળવવા માટે અપીલ
ઊન ગામમાં હિંસા ન ફાટી નીકળે તે માટે સાધુ-સંતો પણ મેદાને આવ્યા છે. રૂપ પુરી મહારાજે બંને સમાજને શાંતિ જાળવવા વિનંતી કરતા કહ્યું છે કે, ‘અસામાજિક તત્ત્વોથી સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે હિંસાથી સમાજને મોટું નુકસાન થઈ શકે છે. બંને સમાજના આગેવાનોએ સાથે બેસીને ચર્ચા દ્વારા જ આ વિવાદનો સુખદ ઉકેલ લાવવો જોઈએ.’ નોંધનીય છે કે, હાલમાં પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અફવા ન ફેલાય. ઉણ ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
કિંજલ રબારીના લગ્ન બાદ શરૂ થયો છે વિવાદ
આ સમગ્ર વિવાદ પાછળની ઘટના જોઈએ તો, અગાઉ રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. તે સમયે રબારી અને ચૌધરી બંને સમાજના આગેવાનોએ પરસ્પર સહમતિ સાધીને રબારી સમાજની દીકરીને પરત સોંપી દીધી હતી.


