25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથી મળશે પ્રવેશ | Jamnagar News 25 years later Reconstruction of historic Bhujio Kotho

Jamnagar News: છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરના ઐતિહાસિક વારસામાં વધુ એક છોગું ઉમેરાયું છે. 174 વર્ષ જૂનો અને સૌરાષ્ટ્રની શાન ગણાતો ‘ભુજિયો કોઠો’ તેના મૂળ વૈભવી સ્વરૂપમાં પુનઃનિર્માણ પામ્યો છે. આવતીકાલ 19 માર્ચ 2026થી આ ઐતિહાસિક ઈમારત પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે.
15 વર્ષ સુધી ઉપેક્ષિત રહ્યો, 25 વર્ષની લાંબી રાહ બાદ ‘નવજીવન’-
વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં ભુજિયા કોઠાને વ્યાપક નુકસાન થયું હતું. ભૂકંપ બાદ લગભગ 15 વર્ષ સુધી આ ઈમારત ઉપેક્ષિત રહી હતી. છેક 2016-17માં તંત્ર દ્વારા તેના જીર્ણોદ્ધારનો નક્કર પ્લાન ઘડાયો. ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ 25 કરોડના ખર્ચે તેનું રિસ્ટોરેશન કરવાનું નક્કી કરાયું. ત્યારબાદ આશરે 8 થી 9 વર્ષની મહેનત બાદ આજે આ કોઠાને નવજીવન મળ્યું. એટલે કે 25 વર્ષ જેટલા લાંબા સમય બાદ જામનગરની શાન ભુજિયો કોઠો તૈયાર થયો છે.

ચૂનો, અરીઠા અને ગૂગળનો ઉપયોગ
આ કામગીરી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના માર્ગદર્શન હેઠળ જૂની પરંપરાગત શૈલીમાં જ કરવામાં આવી છે. કોઠાના મૂળ સ્થાપત્યને જાળવી રાખવા માટે આધુનિક સિમેન્ટને બદલે સદીઓ જૂની પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. રિસ્ટોરેશનમાં ચૂનો, ગૂગળ, મુલતાની માટી, ગોખરુ, અરીઠા અને સિંદૂર જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરાયો છે. જેના કારણે તેની કલાત્મક બારીઓ, ઝરુખા અને રંગમંડપ 174 વર્ષ પહેલા જેવા જ ભવ્ય દેખાઈ રહ્યા છે.

રચાશે ‘હેરિટેજ ચેઈન’
જામનગરના પ્રવાસનને વેગ આપવા માટે ફેઝ-2ની કામગીરી પણ પ્રગતિમાં છે. જે અંતર્ગત ખંભાળિયા ગેટ, ભુજિયો કોઠો અને લાખોટા મ્યુઝિયમને ‘હેરિટેજ ચેઈન’ દ્વારા જોડવામાં આવશે. આગામી સમયમાં પ્રવાસીઓ એક જ એન્ટ્રી પોઈન્ટથી આ ત્રણેય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકશે.


